જામનગર શહેરમાં દરબારગઢ નાકાથી પાંચ હાંટડી સુધીનો રસ્તો 18 મીટર પહોળો કરવા માટે કપાતમાં આવતા જમીન મહાનગરપાલિકાએ સંપાદન કરી હતી. આ સંપાદન કરેલી જમીન ઉપર દુકાન બનાવી પચાવી પાડવા સંદર્ભે કોર્પોરેટર સહિત ત્રણ શખ્સો વિરૂઘ્ધ લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ મહાનગરપાલિકાએ ફરિયાદ નોંધાવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકા દ્વારા દરબારગઢ નાકા થી પાંચ હાટડી ચોક સુધીનો રસ્તો 18 મીટર પહોળો કરવા માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા 2005 થી કપાતમાં આવતી સિટી સર્વે 115 વાળી જમીનના કબ્જેદાર હાજી આદમની 30 ચો.મીટરની જમીન સંપાદન કરવામાં આવી હતી. મહાપાલિકા દ્વારા સંપાદન કરેલી સરકારી જમીન પચાવી પાડવા માટે સીદી હાજી મેતર, કાદર હાજી મેતર અને કોંગ્રેસના કોર્પોરેટર અસલમ કરીમ ખીલજી નામના ત્રણ શખ્સોએ જમીનમાં દુકાન બનાવી રોડ ઉપર છાપરા કાઢી ચા-પાણીના ઓટા માટે પાકુ ચણતર કરી નાખ્યું હતું. તેમજ 10 ચો.મીટરનો પાણીનો બોર પણ બનાવી નાખ્યો હતો. કોર્પોરેટર સહિતના ત્રણ શખ્સો દ્વારા રૂા.3.60 લાખની કિંમતની સરકારી જમીન પચાવી પાડવા અંગે મહાનગરપાલિકાના અધિકારી નિતીનકુમાર દિક્ષીત દ્વારા આ અંગે સીટી એ ડીવીઝનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
જેના આધારે ડીવાયએસપી જે.એન. ઝાલા તથા સ્ટાફે કોંગ્રેસના કોર્પોરેટર સહિતના ત્રણ શખ્સો વિરૂધ્ધ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ સંપાદન કરેલી જમીન પચાવી પાડવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


