જોડિયા-ભાદરા રોડ ઉપર બાદનપર ગામના પાટિયા પાસેથી બાઇકમાં પસાર થતાં પ્રૌઢના બાઇકને સામેથી પુરપાટ આવી રહેલી કારના ચાલકે ઠોકરે ચઢાવતા અકસ્માતમાં પ્રૌઢનું ગંભીર ઇજાના કારણે મોત નિપજયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ જોડિયા ગામમાં આવેલી જલારામ સોસાયટીમાં રહેતાં દિનેશભાઇ નારણભાઇ પરમાર નામના પ્રૌઢ રવિવારે સવારના સમયે તેના જીજે10 સીપી 2250 નંબરના મોટર સાયકલ પર લતીપર ગામમાં સગાઇ પ્રસંગમાં હાજરી આપી તેના ઘર તરફ જતા હતા. જોડિયા-ભાદરા રોડ પર બાદનપર ગામના પાટિયા નજીક પહોંચ્યા ત્યારે સામેથી પુરપાટ ઝડપે અને બેફિકરાઇથી આવી રહેલી જીજે10 બીએ 4720 નંબરની સેન્ટ્રો કારના ચાલકે પ્રૌઢના બાઇક સાથે ધડાકાભેર અથડાતાં અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર દિનેશભાઇ પરમાર રોડ પર પટકાતા શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પુત્ર રવિભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. ડી. આર. કાંબરિયા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક કાનજી દેવકરણ નંદાસણા વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


