જામનગર તાલુકાના અલિયા ગામમાં રહેતા અને મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતાં યુવાને બે વર્ષ પહેલાં મોડા ગામના વ્યાજખોરો પાસેથી રૂા. 25 હજાર લીધા હતા. આ રકમ પેટે દોઢ વર્ષ સુધી વ્યાજ ભર્યા બાદ વ્યાજ ન ભરી શકતા વ્યાજખોરો દ્વારા અવારનવાર ત્રાસ અપાતા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના અલિયા ગામમાં આવેલા વિરાણી ચોકમાં રહેતા અને મંડપ ડેકોરેશનનો વ્યવસાય કરતાં ભાવેશ નરેશભાઇ પરમાર નામના વેપારી યુવકે બે વર્ષ પહેલાં મોડા ગામના અરવિંદસિંહ જાડેજા અને હરદીપસિંહ જાડેજા પાસેથી રૂા. 25 હજાર એક મહિનાના રૂા. 3500 વ્યાજ લેખે લીધા હતાં. આ વ્યાજની રકમ દોઢ વર્ષ સુધી ચૂકવી હતી. ત્યારબાદ વેપારી યુવક વ્યાજની રકમ ચૂકવી શક્યો ન હતો. તેથી વ્યાજખોરોએ અવારનવાર ફોન કરી વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી યુવકને હેરાન પરેશાન કરતાં હતા. બન્ને વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને સોમવારે રાત્રિના સમયે ફલ્લા ગામમાં હનુમાન મંદિર પાસેના રોડ પર ભાવેશ નરેશભાઇ પરમાર નામના યુવકએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ ડી. એ. રાઠોડ તથા સ્ટાફએ ભાવેશ પરમારના નિવેદનના આધારે વ્યાજખોરો વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


