જામજોધપુર તાલુકાના સોનવડિયા ગામમાં તાજેતરમાં સુઝલોન કંપનીની પવનચકકીનું પાંખિયુ તુટીને 300 થી 325 ફૂટ જેટલો દુર ફેંકાઇ ગયું હતું. જો કે, સદનસીબે કોઈ જાનહાની થઇ ન હતી, પરંતુ ભારે વાવાઝોડું, ભારે પવન કે ભારે વરસાદ ન હોવા છતા પંખાનું પાંખીયુ તુટી પડતા કંપનીની ઘોર બેદરકારી અને નિયમીત ચકાસણીના અભાવે કામે આ ઘટના બની હતી.
આ વિસ્તારમાં ખેડુતો, પશુપાલકો કાર્યરત હોય જ છે અને ખેતરમાં કામ કરતાં મજુરો, ખેડૂતો, નેસધારી ઢોર ચરાવતા માલધારીઓની સુરક્ષાના નિયમો નેવે મુકીને કંપની દ્વારા રીતસર દાદાગીરી જેવુ વાતાવરણ ઉભુ કરાયું છે. પવન ચકકી કાર્યરત કર્યા બાદ સમારકામના અભાવે આવી ઘટના બનેે છે. તંત્ર દ્વારા પણ આવી ઘટના અંગે આંખ મીચામણા કરવામાં આવે છે. મામલતદાર કચેરી દ્વારા સામાન્ય રોજકામ એ પણ ગાડીમાં બેસીને તૈયાર કરી ચલાવી લેવાય છે. આવી ઘટનાને ગંભીરતાથી લઈ કંપનીની ઘોર બેદરકારી અને હલકી ગુણવતાના માલ-સામાનનો ઉપયોગ કરી પવન ચકકી ચલાવવા સામે તંત્ર દ્વારા લાલ આંખ કરી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ જામજોધપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગોવિંદભાઈ ચાવડાએ કરી છે. અન્યથા ગાંધી ચિંધ્યા માર્ગે લોકોને સાથે રાખી આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી ચિમકી આપવામાં આવી હતી.


