દ્વારકા વિસ્તારની સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની સજા તથા દંડ ફટકારતો હુકમ અદાલતે કર્યો છે.
આ કેસની વિગત મુજબ દ્વારકા વિસ્તારમાં રહેતા એક આસામીની સગીર વયની પુત્રીને જૂન 2022 માસના સમયગાળા દરમિયાન અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના નીલવાળા ગામે રહેતો ભરત કાંતિભાઈ બગડા નામનો શખ્સ લલચાવી, ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઈરાદાથી અપહરણ કરી લઈ જઈને સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવા અંગેની ફરિયાદ તારીખ 5 જૂન 2022ના રોજ દ્વારકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી. જે અંગે પોલીસે જરૂરી કાર્યવાહી કરી, અદાલત સમક્ષ ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.
આ અંગેનો કેસ દ્વારકાની સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ શ્રી કે.જે. મોદી સમક્ષ ચાલી જતા આ પ્રકરણમાં ફરિયાદી તથા મેડિકલ ઓફિસર સહિતના સાહેદોની જુબાની તથા પ્રોસીકયુશન તરફે રજૂ કરવામાં આવેલા પુરાવાઓ સાથે મદદનીશ જિલ્લા સરકારી વકીલ અમિતભાઈ વ્યાસ દ્વારા વિવિધ મુદ્દે કરવામાં આવેલી દલીલોને ધ્યાને લઈને નામદાર અદાલતે આરોપી ભરત કાંતિભાઈ બગડાને દુષ્કર્મ સહિતની જુદી જુદી કલમમાં 20 વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા 20,000નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આ કેસમાં ભોગ બનનારને સામાજિક, આર્થિક તથા માનસિક પુનર્વસન માટે વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા ચાર લાખનું વળતર ચૂકવવા માટે પણ હુકમ કરવામાં આવ્યો છે.


