જામનગરના સાધના કોલોની એલ-55માં રહેતા યુવાને અગમ્યકારણોસર ઈકો ગાડીમાં ઝેરી દવા પી લેતા સારવાર માટે ખસેડાયા હતાં. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની વિગત મુજબ, જામનગરના સાધના કોલોની એલ-55 રૂમ નંબર-3071 જામનગર માં રહેતાં અને ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા રમેશભાઈ જેઠાભાઈ ચાવડા (ઉ.વ.42) નામના યુવાને ગત તા.18/3/2025 ના રોજ રાત્રિના સમયે હર્ષદમીલની ચાલીમાં વિશાલ બેકરી પાસે ઇકો ગાડીમાં અગમ્યકારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેથી તેમને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન તા.25 માર્ચના રોજ તેમનું મૃત્યુ નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે સુરેશભાઈ કરશનભાઈ પરમાર દ્વારા પોલીસને જાણ કરતા સિટી એ ના હેકો આર બી રાડા તથા સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.