ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામમાં રહેતાં યુવાન કૂવો ગાળતા હતા. તે દરમ્યાન પથ્થર માથા ઉપર પડતા ઇજાગ્રસ્ત થયા હતા. સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા પોલીસે તપાસ હાથ ધરી છે.

આ અંગેની મળતી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામે રહેતા ઈરફાન ઉર્ફે યાસીન દાઉદભાઈ (ઉ.વ.35) નામના સંધી મુસ્લિમ યુવાન ગત તારીખ 4 માર્ચના રોજ એક વાડીએ કુવો ગાળવાનું કામ કરી રહ્યા હતા. ત્યારે કોઈ કારણોસર ઉપર તેમના માથા પર પથ્થર પડતા તેમને ઇજા પામી હતી. તેમને સારવાર માટે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવારઅર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે હુસેનભાઇ ગજણએ જાણ કરતા વાડીનાર મરીન પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી આરંભી હતી.


