ધ્રોલ તાલુકાના નથુવડલા ગામના વાડી વિસ્તારમાં રહેતો અને ખેતમજૂરી કરતા યુવાને તેની પત્ની પુત્ર સાથે નણંદના ઘરે જતી રહેતાં લાગી આવતાં યુવાને ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ આરંભી હતી.
આ બનાવની વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના નેશપુરા ફળિયા ગામનો વતની અને હાલ ધ્રોલ તાલુકાના નથુવડલા ગામની સીમમાં આવેલી બલવીરસિંહ સજનસિંહ જાડેજાના ખેતરમાં મજૂરીકામ કરતાં ગૌતમભાઇ દિનેશભાઇ વસાનિયા (ઉ.વ.25) નામના યુવાનની પત્ની મમતાબેન તેના નાના પુત્ર સાથે તેની નણંદના ઘરે પતિને જાણ કર્યા વગર ગઇ હતી. આ દરમ્યાન પાછળથી આ બાબતનું મનમાં લાગી આવતાં ગૌતમભાઇએ સોમવારે સાંજના સમયે તેની ઓરડીની છતના પાઇપમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગેની મૃતકના પત્ની મમતાબેન દ્વારા જાણ કરાતા હે.કો. જે. કે. દલસાણિયા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી, પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


