જામનગર રહેતો યુવાન કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતો હતો તે દરમિયાન એકાએક હૃદયરોગનો હુમલો આવતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં રહેતાં ખેડૂત યુવાનને બીમારી દરમિયાન અચાનક હાર્ટએટેકનો હુમલો આવતા પડધરીની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનનગર શહેરના પટેલ કોલોની શેરી નંબર-9 માં આવેલા શાંતિનગરમાં રહેતાં અરવિંદસિંહ જામભા જાડેજા (ઉ.વ.45) નામનો યુવાન શનિવારે રાત્રિના સમયે કાલાવડ તાલુકાના ખાનકોટાડ ગામની સીમમાં આવેલા તેના ખેતરે મજૂરી કામ કરતો હતો તે દરમિયાન અચાનક છાતીમાં દુ:ખાવો થવાથી ચક્કર આવતા બેશુદ્ધ થઈ ગયો હતો. ત્યારબાદ યુવાનને કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ રણજીતસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઈ આર વી ગોહિલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં રહેતા રામદેવસિંહ નીતુભા જાડેજા (ઉ.વ.45) નામના ખેડૂત યુવાન બે-ત્રણ દિવસથી બીમાર રહેતો હતો. દરમિયાન રવિવારે સવારના સમયે તેના ઘરે હતો ત્યારે એકાએક છાતીમાં દુ:ખાવો ઉપડતા સારવાર માટે પડધરીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું હૃદયરોગના હુમલાના કારણે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ વનરાજસિંહ દ્વારા જાણ કરાતા એએસઆઈ આર.એ. વાઘ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.