જામનગરના ન્યુ હર્ષદમીલની ચાલી વિસ્તારમાં રહેતાં બે વ્યક્તિઓ ઉપર કરાયેલા હુમલા બાદ એક યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. પોલીસે હુમલાના બનાવમાં હત્યાની કલમો ઉમેરી બે શખ્સોને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના ન્યુ હર્ષદમીલની ચાલીમાં રહેતાં અબ્દુલભાઈ કાસમભાઈ ખફી (ઉ.વ.49) અને શાબીર સલીમભાઈ ખીરા (ઉ.વ.20) નામના બન્ને યુવાનો ગત તા.21 ના રોજ જીઆઈડીસીમાં કારખાનામાંથી સાંજના સમયે બાઈક લઇને પોતાના ઘરે જતાં હતાં અને બન્ને યુવાનો રણજીતસાગર રોડ મારૂ કંસારા ફાઉન્ડેશન સામેથી પસાર થતા હતાં. ત્યારે જૂની માથાકૂટનો ખાર રાખીને ઈમરાન અબુ પતાણી, મૂસાતક મહમદ ખફી, અલ્તાફ હનીફ ખીરા, હાજી ઉર્ફે કયુમ બસીરભાઇ ખીરા, મહેબુબ અને 4 અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. બન્ને યુવાનોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં અને ચાર અજાણ્યા સહિત 9 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. જેમાં ત્રણ દિવસ પહેલાં શાબીરનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં બનાવ હત્યામાં પલ્ટ્યો હતો અને પોલીસે ફરિયાદમાં હત્યાની કલમનો ઉમેરો કર્યો હતો. આ કેસની તપાસ પીઆઇ એમ.જે. જલુ એ સ્ટાફના રાઈટર સંજયસિંહ તેમજ પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા સહિતનાએ આરંભી હતી અને ઈમરાન, હાજી ઉર્ફે કયુમ, અલ્તાફ તેમજ અજાણ્યા ચાર શખસોએ બે સાગર ડાભી અને સાગર જેઠવાની ઝડપી લીધા હતાં અને તેના કોવિડ ટેસ્ટ બાદ ધરપકડ કરીને રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે.
જામનગરમાં યુવાનની હત્યા પ્રકરણમાં બે શખ્સોની ધરપકડ
સપ્તાહ પૂર્વે બે યુવાનો ઉપર હુમલો : સારવાર દરમિયાન યુવાનના મોત બાદ બનાવ હત્યામાં પલ્ટાયો