જામનગર તાલુકાના વિજરખી ગામના શખ્સને નેગોસીએબલના ગુનામાં 6 માસની સજા થયા બાદ નાસતા ફરતા આરોપીને પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે દબોચી લીધો હતો અને જામનગરમાં રહેતાં પ્રોહિબિશનના ગુનામાં લાલ શાહીથી દર્શાવેલ નાસતા ફરતા શખ્સને પોલીસે દબોચી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના વિજરખી ગામમાં રહેતા વસ્તા રાયદે વીરાણી નામના શખ્સને અદાલતે નેગો. ઇન્સ્ટ્રુ. એક્ટ હેઠળ તકસિરવાન ઠેરાવી બે માસની સાદી કેદની સજા ફટકારી હતી. ત્યારબાદથી નાસતા ફરતાં વસ્તા અંગેની એએસઆઇ શોભરાજસિંહ જાડેજા, પો.કો. શિવરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી ડીવાયએસપી મીત રૂદલાલના માર્ગદર્શન હેઠળ પીઆઇ એમ. એન. શેખ, એએસઆઇ શોભરાજસિંહ જાડેજા, પો.કો. શિવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફએ કંકુનગર પાસેથી પોલીસે વસ્તા વિરાણીની ધરપકડ કરી જેલહવાલે કરવાની તજવીજ હાથ ધરી હતી.
આ ઉપરાંત જામનગર શહેરના ખોજાનાકા પાસે રહેતો સિકંદર ઉર્ફે સિકલો ફિરોઝ સાટી નામનો શખ્સ પ્રોહિબિશનના ગુનામાં લાલ શાહીથી દર્શાવેલ નાસતા ફરતા આરોપીને પંચકોષી ‘એ’ ડિવિઝન પોલીસે દબોચી લઇ જેલહવાલે કરવા કાર્યવાહી હાથ ધરી હતી.


