

જામનગર શહેરમાં તાજેતરના તોફાન બાદ હજુ નુકસાનની પરિસ્થિતિ સમાન થઈ નથી ત્યાં જ વધુ એક ઘટના સામે આવી છે. શહેરના એરપોર્ટ નજીક વહેલી સવારે બનેલા અકસ્માતમાં એક અજાણ્યા ટ્રક ચાલકે વીજ વાયર સાથે અથડાતા એક પછી એક અંદાજે 20 જેટલા વીજ પોલ ધરાશાયી થયા હતા.
આ ઘટના એરપોર્ટથી આરટીઓ કચેરી સુધીના વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું છે. ટ્રક દ્વારા વીજ લાઈન ખેંચાતા પોલ એકસાથે પડતા સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠા પર ગંભીર અસર પડી હતી. આ ઘટનાથી સ્થાનિકોમાં ભય અને અવ્યવસ્થા ફેલાઈ હતી.
ઘટનાની જાણ થતાં જ પીજીવીસીએલ વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. વિભાગ દ્વારા નુકસાન પામેલા પોલ અને વીજ લાઈનોને પુનઃસ્થાપિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. વીજ પુરવઠો વહેલી તકે પુનઃસ્થાપિત થાય તે માટે ટીમ સતત કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે તોફાનના કારણે પહેલાથી જ શહેરના અનેક વિસ્તારોમાં વીજ પોલ અને લાઈનોને નુકસાન થયું હતું. ત્યારે આ નવી ઘટના વીજ વ્યવસ્થાપન માટે વધુ પડકારરૂપ બની છે.
View this post on Instagram


