જામનગર શહેરના નીલકંઠ પાર્કમાં રહેતી યુવતીના લગ્નના 6 માસ બાદ જ તેના પતિ દ્વારા ઘરકામ અને સંતાન ન થવાની બાબતે મારકૂટ કરી, ગાળાગાળી કરતાં પત્નીએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના બેડી રીંગ રોડ પર આવેલા નીલકંઠ પાર્કની શેરી નંબર ચારમાં રહેતી હિનેાબેન જીજ્ઞેશભાઇ મર્દાનિયા (ઉ.વ.30) નામની યુવતીના લગ્નના છ માસ બાદ જ તેણીના પતિ જીજ્ઞેશ દેવકરણ મર્દાનિયા દ્વારા ઘરકામ બાબતે તથા સંતાન ન થવાની બાબતે અવારનવાર શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. તેમજ શનિવારે સાસુ-સસરાને દિયરના ઘરે મૂકવા બાબતે જીજ્ઞેશએ તેની પત્ની હિનાબેન સાથે મારામારી કરી, ગાળો કાઢી, ફડાકા ઝિંકી દીધા હતા. પતિની અવારનવારની મારકૂટથી કંટાળેલી હિનાબેને શનિવારે રાત્રિના સમયે તેના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવતીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બનાવની જાણના આધારે એ.એસ.આઇ. મકવાણા તથા સ્ટાફએ યુવતીના નિવેદનના આધારે તેણીના પતિ વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


