દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દેશી-વિદેશી દારૂ સામે પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે થોડા સમય પૂર્વે જિલ્લાના જુદા જુદા ત્રણ પ્રોહિ. બુટલેગરો સામે નોંધાયેલી પોલીસ ફરિયાદ બાદ એલસીબી પોલીસે જરૂરી કામગીરી કરી અને ભીમરાણાના બે તથા રાણપરના એક શખ્સને પાસા તળે જેલ હવાલે કર્યા હતા.

આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સુચના મુજબ જિલ્લાના પ્રોહિ. બુટલેગરો, જુગારીઓ વિગેરે જેવા અસામાજિક તત્વો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા આપેલી સૂચનાને અનુલક્ષીને અહીંની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી અને તેમની ટીમ દ્વારા જિલ્લાના ટોપ મોસ્ટ ગુનેગારોને ગુનાહિત ઇતિહાસની માહિતી એકત્રિત કરીને દ્વારકાના ભીમરાણા ગામના રહીશ ઉમેદસિંહ ઉર્ફે અનિયો શિવુભા વાઢેર, આ જ ગામના પૃથ્વીરાજસિંહ ઋષિયો ઉર્ફે ઋષિરાજસિંહ કારૂભા વાઢેર અને ભાણવડ તાલુકાના રાણપર ગામનો રહીશ રાજુ કરસન કોડીયાતર નામના ત્રણ શખ્સો સામે પાસાની દરખાસ્ત તૈયાર કરાવી હતી.
આ પાસા દરખાસ્ત અહીંના જિલ્લા કલેકટર આર. એમ. તન્ના સમક્ષ મૂકવામાં આવતા તેમણે સમાજમાં શાંતિમય વાતાવરણનો હકારાત્મક અભિગમ અપનાવીને ઉપરોક્ત ત્રણેય શખ્સોના પાસા મંજૂર કરી અને અટકાયતી વોરંટ ઇસ્યૂ કર્યું હતું. જેને અનુલક્ષીને એલ.સી.બી. પી.આઈ. બી.જે. સરવૈયાની રાહબરી હેઠળ એલસીબીની ટીમે ઉપરોક્ત ત્રણેય આરોપીઓને રાઉન્ડ અપ કરી, આરોપી ઉમેદસિંહને બનાસકાંઠા જિલ્લાની પાલનપુર જિલ્લા જેલ ખાતે, પૃથ્વીરાજસિંહને કચ્છ ભુજની પાલારા ખાતે અને રાજુ કોડીયાતરને ભાવનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપવાની તજવીજ કરી હતી.
આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. બી.જે. સરવૈયા, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ભુપેશ જોટાણીયા, પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, એસ.વી. કાંબલીયા, કલેકટર કચેરીના નાયબ મામલતદાર નિલેશભાઈ કરમુર, એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, હરપાલસિંહ જાડેજા, ડાડુભાઈ જોગલ, દીપકભાઈ રાવલીયા, ખીમાભાઈ કરમુર, શક્તિસિંહ ઝાલા, શક્તિસિંહ જાડેજા, મયુરભાઈ ગોજીયા, ગોવિંદભાઈ કરમુર, સચિનભાઈ, ક્રિપાલસિંહ, મનહરસિંહ, જયપાલસિંહ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.


