જામનગર જિલ્લા દલિત સમાજ દ્વારા અનુસુચિત જાતિ ઉપર વધતાં એટ્રોસિટી કેસોના વિરોધમાં તેમજ લાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદમાં બીએનએસની કલમ 118(2)નો ઉમેરો કરવાની માંગણી સાથે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
જામનગર જિલ્લા દલિત સમાજ દ્વારા પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે, પીપરી ગામના સરપંચ સત્તાનો દૂરુપયોગ કરી દાદાગીરી કરતાં હોય જેની વિરૂઘ્ધ લાલપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ ગુના નોંધાયેલા છે. જોડિયા તાલુકાના હડિયાણા ગામમાં ચારથી પાંચ લોકોએ જમીનમાં ગેરકાયદેસર દબાણ કર્યું હોય જમીનની ડીઆઇએલઆર કચેરી દ્વારા માપણી કરાવતા માપણી શીટમાં પણ દબાણ થયું હોવાનું રેકર્ડ ઉપર હોવા છતાં કોઇ પગલાં લેવામાં આવતા નથી. અનુસૂચિત જાતિના ખેડૂતોની જમીન પર અન્ય લોકો દબાણ કરી ત્યારે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરવો જોઇએ. તે પણ કાર્યવાહી થઇ નથી. આથી આ અંગે કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે.
View this post on Instagram
લાલપુરમાં નોંધાયેલ ફરિયાદમાં ફરિયાદીને ફ્રેકચર સહિતની ઇજાઓ થઇ હોવા છતાં પોલીસ દ્વારા બીએનએસની કલમ 118(2) દાખલ કરાઇ નથી. એસસી-એસટી સેલ ડીવાયએસપીને પણ આ અંગે અરજી કરવામાં આવી છે. છતાં હજૂ કોઇ કાર્યવાહી થઇ નથી. આથી આ અંગે કાર્યવાહી કરવા જામનગર જિલ્લા દલિત સમાજના પ્રમુખ કે. જે. વાઘેલા અને મહામંત્રી આનંદ ગોહિલ સહિતના દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ હતી.


