દેવભૂમિ દ્વારકા અને જામનગર સહિત સમગ્ર રાજ્યમાં રખડતાં શ્વાનનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. જેમાં ગઇકાલે ખંભાળિયામાં બે વર્ષની માસુમ બાળકીને રખડતાં શ્વાને હુમલો કરતાં ફફડાટ મચી ગયો હતો. જ્યારે આ બાળકીને બચાવવા જતાં પ્રૌઢ ઉપર પણ શ્વાને હુમલો કરી બચકાં ભરતાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઉપરાંત સલાયામાં રખડતાં શ્વાને સાત લોકોને કરડી ખાધા હતા. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
ખંભાળિયામાં છેલ્લા ઘણા સમયથી રસ્તે રઝળતા શ્વાનનો આતંક લગાતાર બની રહ્યો છે. આ વચ્ચે ગઈકાલે સોમવારે અહીંના રહેણાંક વિસ્તારમાં એક બાળકી તેમજ તેના દાદા પર શ્વાન દ્વારા હુમલો કરાયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયાના બંગલા વાડી વિસ્તારમાં રહેતી હિરલ નામની બે વર્ષની માસુમ બાળકી તેના ઘરના આંગણામાં રમી રહી હતી, ત્યારે શેરીમાં રખડતા એક શ્વાને અહીં આવી અને અચાનક આ બાળકી ઉપર હુમલો કરતા આ બાળાએ કાગારોળ મચાવી દીધી હતી. આથી નજીક રહેલા આ બાળકીના દાદા પોતાની પૌત્રીને શ્વાનના મુખમાંથી છોડાવવા જતાં તેમના પર પણ હુમલો કર્યો હતો.
View this post on Instagram
બે વર્ષની હીરલને ગાલ તેમજ ગળાના ભાગે નવ ટાંકા આવ્યા હતા. જ્યારે તેના દાદાને પણ પગના ગોઠણના ભાગે કૂતરાએ બચકા ભરતાં તેમને પણ ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર આપવામાં આવી હતી.
ખંભાળિયામાં રખડું કૂતરાઓના વધતા જતા આતંકથી નગરજનો ત્રસ્ત બની ગયા છે.
સલાયામાં ગઈકાલે બંદર રોડ ઉપર શ્વાનનો આતંક જોવા મળ્યો હતો.જેમાં જુદા જુદા 7 જેટલા લોકોને શ્વાને કરડવાના કેસ નોંધાયા હતા.જેમાં પગ અને પેટના ભાગે કૂતરાએ બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે.આ તમામ લોકોએ સરકારી દવાખાને સારવાર લીધી હતી.જેમાં બે જેટલા વ્યક્તિને થોડી વધારે તકલીફ હોય ખંભાળિયા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલ્યા હતા.મળતી માહિતી મુજબ ગયા જાન્યુઆરી માસમાં સરકારી દવાખાને 195 જેટલા વ્યક્તિઓને કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા.આમ દિવસેને દિવસે સલાયામાં રખડતા શ્વાનનો ત્રાસ વધ્યો હોવાનું સામે આવ્યું છે.આ બનાવથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.


