વડાપ્રધાન મોદીએ શનિવારે અમદાવાદમાં ઈન્ડિયન એસોસિએશન ઓફ ફિજિયોથેરેપિસ્ટના 60માં રાષ્ટ્રીય સંમેલનના ઉદઘાટન સમારોહને સંબોધન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ તમામ ફિજિયોથેરેપિસ્ટને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે શ્રેષ્ઠ ફિજિયોથેરેપિસ્ટ એ જ જેની જરૂરિયાત દર્દીને વારંવાર ન પડે. પીએમ મોદીએ કહ્યું કે લોકોને સેલ્ફ રેજિલિયન બનાવવા એ જ આપણો ગોલ છે. જ્યારે આજે ભારત આત્મનિર્ભરતા તરફ આગળ વધી રહ્યું છે તો તમારા પ્રોફેશનના લોકો સરળતાથી એ સમજી શકે છે કે આ આપણા દેશના ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ કેમ છે? પીએમ મોદીએ કહ્યું કે કોઈ ઈજા, પીડા, યુવા, ખેલાડી, વૃદ્ધ હોય કે પછી ફિટનેસના મુરીદ હોય ફિજિયોથેરેપિસ્ટ દરેક વયના લોકોના સહયોગી બનીને તેમની તકલીફ દૂર કરે છે. તમે મુશ્કેલ સમયમાં સિમ્બોલ ઓફ હોપ બનો છો. પીએમ મોદીએ કહ્યું કે મને આનંદ થાય છે કે મેડિકલ ફિલ્ડના આટલા પ્રોફેસર એકસાથે એકત્રિત થઇ રહ્યા છે. ફિજિયોથેરેપિસ્ટને એક પ્રોફેશન તરીકે માન્યતા મળી છે. અમારી સરકારે ફિજિયોથેરેપિસ્ટને આયુષ્યમાન યોજના સાથે જોડ્યા છે. ખેલો ઈન્ડિયા મૂવમેન્ટ સાથે સાથે ફિટ ઈન્ડિયા મૂવમેન્ટમાં પણ ભારત આગળ વધ્યું છે. ફિટનેસ પ્રત્યે સાચો દૃષ્ટિકોણ અપનાવો જરૂરી હોય છે. પીએમ મોદીએ કહ્યું કે મારો અનુભવ છે કે જ્યારે ફિજિયોથેરેપિસ્ટ સાથે યોગનો અનુભવ જોડાઈ જાય છે તો તેમની શક્તિ અનેક ગણી વધી જાય છે.


