ઓખાના ગાંધી રોડમાં રહેતાં પરિણીતાએ પતિ સાથે થયેલી બોલાચાલી બાદ મનમાં લાગી આવતાં રસોડામાં રહેલા પંખામાં દોરડું બાંધી ગળાફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી.

આ અંગેની વિગત મુજબ ઓખામાં ગાંધી રોડ ખાતે રહેતા હર્ષિદાબેન કપિલભાઈ પાંજરીવાલા (ઉ.વ.32) નામના મહિલાએ ગઈકાલે સોમવારે પોતાના ઘરે રસોડામાં રહેલા પંખામાં દોરડું બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
મૃતક મહિલાનો લગ્ન ગાળો 15 વર્ષનો હતો. મૃતક હર્ષિદાબેનના મગજની સારવારની દવા ચાલુ હોય અને તેમને અવારનવાર ખેંચ આવી જતી હોવાની બીમારી વચ્ચે તેઓ સમયસર પોતાની દવા લેતા ન હતા. જેથી તેણીના પતિ કપિલભાઈએ આ બાબત તેમના સાળાને કહી હતી. આથી હર્ષિદાબેને કપિલભાઈને કહેલ કે “તમે શા માટે મારા પરિવારને આ વાત કરો છો?” જે બાબતે દંપતિ વચ્ચે બોલા ચાલી થઈ હતી.
આ બાબતે હર્ષિદાબેનને મનમાં લાગી આવતા તેમણે ઉપરોક્ત પગલું ભર્યું હોવાની જાણ કપિલભાઇ દ્વારા કરાતા ઓખા મરીન પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


