કોરોનાની બીજી લહેરની વચ્ચે હવે કોરોના ટેસ્ટ માટેની અલગ પદ્ધતિને ભારતમાં મંજૂરી આપવામાં આવી છે. જેમાં કોગળા કરીને કોરોના છે કે નહીં તે જાણી શકાશે. આ કોરોના ટેસ્ટિંગની નવી પદ્ધતિને ઇન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચે મંજૂરી આપી છે.
સલાઈન ગાર્ગલ RT-PCR ટેસ્ટને ICMRએ મંજૂરી આપી છે. જેના લીધે લોકો જાતે જ પોતાનો કોરોના ટેસ્ટ કરી શકશે. અને ત્રણ કલાકમાં જ રીપોર્ટ આવી જશે. સલાઈન વોટરથી કોરોનાનો RT-PCR ટેસ્ટ કરવાની પદ્ધતિ નાગપુર સ્થિત NEERI દ્રારા શોધવામાં આવી છે. જેના મારફતે દર્દી પોતાના ઘરે જાતે જ સેમ્પલ લઇ શકે છે. સાથે જ ઇન્સ્ટિટ્યુટની ટીમે હવે દેશભરની લેબોરેટરીમાં જઈને આ રીતે ટેસ્ટિંગની તાલીમ આપવાની પણ મંજૂરી આપવામાં આવે છે. NEERIના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ પધ્ધતિ બહુ સસ્તી છે અને લોકો જાતે પણ ટેસ્ટ કરી શકે છે. કારણ કે આ પધ્ધતિમાં સેલ્ફ ટેસ્ટિંગની મંજૂરી પણ છે. આથી કલેક્શન સેન્ટર પર લોકોને લાઈન લગાવાવની જરૂર નથી.
આ રીતમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલ વ્યક્તિને સલિન વોટરથી કોગળા કરવાના હોય છે અને બાદમાં એક સામાન્ય કલેક્શન ટ્યૂબમાં થૂંકવાની જરૂરિયાત હોય છે. આ સેમ્પલને એક લેબોરેટરીમાં રૂમ ટેમ્પરેચર પર એક બફર સોલ્યુશનમાં રાખામાં આવે છે. આ સોલ્યુશન નેશનલ એન્વાયર્મેન્ટ એન્જિનિયરિંગ ઈન્સ્ટિટ્યુટ દ્વારા તૈયાર કરવામાં આવ્યુ છે. બાદમાં તેને ગરમ કરવામાં આવે છે અને તેમાં આરએનએ ટેમ્પલેટ તૈયાર થાય છે. પછી તેને RT-PCR માટે પ્રોસેસ કરવામાં આવે છે. અને ત્રણ કલાકમાં કોરોના પરીક્ષણ થઇ શકે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં જ્યાં ટેસ્ટિંગના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની અછત છે ત્યાં આ પધ્ધતિ વધારે ઉપયોગી સાબિત થઈ શકે છે.


