જામનગર શહેરની ઓળખ બની ચૂકી આવેલી નવાનગર કો-ઓપરેટિવ બેંક લિ.માં નવા હોદ્દેદારોની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ચેરમેન પદે અશોકભાઈ જોબનપુત્રા અને વાઈસ ચેરમેન પદે મુનિષભાઈ મહેતાની નિમણૂક કરવામાં આવી હતી. બંને નવનિયુક્ત હોદ્દેદારોને બેંકના ડાયરેક્ટરો, કર્મચારીઓ તથા સભ્યો દ્વારા અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
જામનગર શહેરના જુના નામ પરથી શરૂ થયેલી નવાનગર કો-ઓપરેટિવ બેંક 28-08-1980થી સતત સેવા આપતી આવી છે. આજ દિવસે આ બેંક જામનગરની એક વિશ્વસનીય અને મજબૂત નાણાકીય સંસ્થા તરીકે ઓળખ ધરાવે છે. હાલ બેંકની કુલ 10 જેટલી શાખાઓ કાર્યરત છે, જેમાં 1 લાખથી પણ વધુ ગ્રાહકો જોડાયેલા છે તેમજ 117થી વધુ કર્મચારીઓ બેંકની સેવા માટે કાર્યરત છે.
બેંકની નાણાકીય સ્થિતિ અંગે વાત કરીએ તો કુલ ડિપોઝિટ રૂ. 979.12 કરોડ, ધિરાણ રૂ. 428.56 કરોડ અને વર્કિંગ કેપિટલ રૂ. 1215.31 કરોડ જેટલું મજબૂત છે. એનપીએ માત્ર લગભગ 1 ટકા જેટલું નહિવત છે અને તેની પૂરતી સિક્યુરિટી બેંક પાસે ઉપલબ્ધ છે. એટીએમ, ઓનલાઈન બેંકિંગ સહિતની આધુનિક સુવિધાઓ પણ બેંક દ્વારા ગ્રાહકોને આપવામાં આવી રહી છે. સાથે સાથે બેંક આરબીઆઈ સાથે સીધી રીતે કનેક્ટેડ છે.
બેંકના કુલ 15 ડાયરેક્ટરો દ્વારા ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગી કરવામાં આવી હતી. નવનિયુક્ત ચેરમેન અને વાઈસ ચેરમેન બંનેએ બેંકને વધુ પ્રગતિના માર્ગે આગળ લઈ જવા, ગ્રાહકોને વધુ ઉત્તમ અને સરળ સેવાઓ પૂરી પાડવા તથા નવાનગર બેંકની સાખ અને વિશ્વસનીયતા વધુ મજબૂત બનાવવા સક્રિય રીતે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.


