જામનગર શહેરમાં રબ્બાની પાર્ક વિસ્તારમાં ઇલેકટ્રીક પોલ પર ચઢી ગયેલા યુવાનનું વીજશોક લાગતાં નીચે પટકાતા સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં આવેલી પ્રજાપતિની વાડી પાછળ રહેતો અને મજૂરીકામ કરતો જયેશભાઇ વાલાભાઇ રાઠોડ (ઉ.વ.35) નામના યુવાનની છેલ્લા ચાર વર્ષથી માનસિક બિમારીની દવા ચાલુ હતી અને આ માનસિક બિમારી દરમ્યાન તેને કોઇ મારી નાખશે તેવી બિક લાગતી હતી. દરમ્યાન યુવાન ગત્ તા. 27 ડિસેમ્બરના રોજ સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં રબ્બાની પાર્ક સામે આવેલી ખુલ્લી જગ્યામાં રહેલા ઇલેકટ્રીક પોલ ઉપર ચઢી ગયો હતો. તે સમયે ચાલુ વીજવાયરમાં અડકી જતાં વીજશોક લાગવાથી નીચે પટકાયો હતો.
વીજશોકથી નીચે પટકાયેલા યુવાનને શરીરે ઇજા તથા દાઝી ગયો હતો. ત્યારબાદ યુવાનને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાં તેની હાલત વધુ ગંભીર જણાતા રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં યુવાનનું મંગળવારે સારવાર દરમિયાન મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણના આધારે હે.કો. વાય. એન. સોઢા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની આગળની કાર્યવાહી આદરી હતી.


