હાલારના દરિયાકિનારે કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામમાં ગાંજાનો જથ્થો હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે 383.04 ગ્રામ ગાંજા સાથે શખ્સને મકાનમાંથી ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસ.ઓ.જી. વિભાગના પીઆઈ. કે.કે. ગોહિલના વડપણ હેઠળ ટીમ દ્વારા કલ્યાણપુર વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. કાનાભાઈ માડમ, ભીખાભાઈ ગાગીયા અને સુમાતભાઈ ભાટીયાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કલ્યાણપુર નજીક આવેલા ખાખરડા ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા મહિપતસિંહ મનુભા અભેસંગ જાડેજા નામના 54 વર્ષના શખ્સના રહેણાંક મકાનમાંથી રૂપિયા 19,170ની કિંમતનો 383.4 ગ્રામ ગાંજો કબજે કરવામાં આવ્યો હતો.
આ પ્રકરણમાં જામનગરમાં રહેતા દિનેશ ગોજીયાનું નામ પણ ખુલવા પામ્યું છે. જે અંગે પોલીસે એન.ડી.પી.એસ. એક્ટની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.


