જુનાગઢ ખાતે આજથી આશરે એક માસ પૂર્વે લૂંટનો એક બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. જે પ્રકરણમાં આરોપી પોલીસના હાથ લાગ્યો ન હતો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા દ્વારકા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન જુનાગઢ ખાતે થયેલી લૂંટના બનાવનો આરોપી એવો જુનાગઢના ડુંગરપુર વિસ્તારમાં રહેતો શબીરશાહ મહોબતશાહ રફાઈ નામનો શખ્સ દ્વારકામાં હોવાની ચોક્કસ બાતમી એસ.ઓ.જી.ના એ.એસ.આઈ. અશોકભાઈ સવાણી તથા હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ કરમુરને મળતા દ્વારકામાં રહેતા અને ભિક્ષાવૃત્તિ કરતા ઉપરોક્ત શખસની પોલીસે અટકાયત કરી, આગવી ઢબે પૂછપરછ કરતા તેના દ્વારા જુનાગઢ ખાતે આચરવામાં આવેલા લૂંટના ગુનાની કબુલાત તેણે કરી હતી. જેથી એસઓજી પોલીસે તેની સામે જરૂરી કાર્યવાહી કરી, વધુ પૂછપરછ અર્થે દ્વારકા પોલીસને સોંપ્યો હતો.
આ સમગ્ર કાર્યવાહી જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ ઇન્ચાર્જ પી.આઈ. પી.સી. સિંગરખીયા, અશોકભાઈ સવાણી, જગદીશભાઈ કરમુર તથા જીવાભાઈ ગોજીયા દ્વારા કરવામાં આવી હતી.


