કાલાવડ તાલુકાના બાંગા ગામમાં આવેલા ત્રણ દિવસ બંધ રહેલાં રહેણાંક મકાનમાંથી તસ્કરોએ તાળાં તોડી, પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના તથા રોકડ રકમ મળી રૂા. 42,500ની માલમત્તા ચોરી કરી ગયા હતા.
ચોરીના બનાવની મળતી વિગત મુજબ રાજકોટના રામાપીર ચોકડી, 150 ફુટ રીંગ રોડ પરના શાસ્ત્રીનગરમાં રહેતાં અને મૂળ કાલાવડ તાલુકાના બાંગા ગામના નિવાસી રમેશભાઇ મૂળૂભાઇ મૈયડ (ઉ.વ.40) નામના વેપારી યુવાનનું બાંગા ગામમાં આવેલું બંધ મકાન ગત્ તા. 16 ફેબ્રુઆરીના સવારે 10.00 વાગ્યાથી 19 ફેબુ્રઆરી બપોરના 12.00 વાગ્યા સમય સુધીના સમયમાં અજાણ્યા તસ્કરોએ મકાનની દીવાલ ટપી પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ રૂમના તાળાં તોડી પતરાંની જુની પેટીમાં રાખેલી રૂા. 20 હજારની કિંમતની સોનાની વિંટીની જોડી, રૂા. 1 હજારની કિંમતનો સોનાનો દાણો, રૂા. 3 હજારની કિંમતના બે જોડી ચાંદીના સાંકરા, રૂા. 1500ની કિંમતની ચાંદીની ઝાંઝરી તથા રૂા. 16 હજાર રોકડા મળી કુલ રૂા. 42,500ની માલમત્તા ચોરી કરી ગયાના બનાવ અંગેની રમેશભાઇ દ્વારા જાણ કરાતાં પીએસઆઇ આર.બી.ઠાકોર તથા સ્ટાફએ અજાણ્યા તસ્કરો વિરૂઘ્ધ ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરૂં મેળવવા તપાસ આરંભી હતી.


