જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં રખડતા કૂતરાઓનો ત્રાસ અવિરત રહેતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. આ સ્થિતિમાં જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં કૂતરાની બાબતે થયેલી બોલાચાલીમાં યુવાન દંપતિ ઉપર ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કરી ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના હનુમાન ટેકરી, 49, દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં જય ભારત ગરબી ચોકમાં રહેતા મુકુલકુમારસિંહ ઉર્ફે ગૌતમસિંહ ઉમેશસિંહ કાકન (ઉ.વ.32) નામના યુવાનને દિનેશ જોઇસરવાળાના પરિવાર સાથે કૂતરાની બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી ગત્ તા. 31ના રોજ બપોરના સમયે દિનેશ જોઇસર, ખેતા ઘૂઘરાવાળો અને મયલો ભંગારવાળો નામના ત્રણ શખસોએ એકસંપ કરી મુકુલકુમારને ગાળો કાઢી, લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. તેમજ શરીરે આડેધડ માર મારતા મુકુલની પત્ની સુમનબેન પતિને છોડાવવા વચ્ચે પડયાં હતાં. હુમલાખોરોએ તેને પણ લાકડાના ધોકા વડે માર મારી ઇજા પહોંચાડી હતી. દંપતિને મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલામાં ઘવાયેલા દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં બનાવની મુકુલકુમાર દ્વારા જાણ કરાતા પીએસઆઇ એલ.બી. જાડેજા તથા સ્ટાફએ ત્રણ શખ્સો વિરૂઘ્ધ હુમલો અને ધમકીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


