જામનગર શહેરના મોટરહાઉસ પાછળ આવેલા પાર્ક કોલોની વિસ્તારમાં ભાડે મકાનમાં એકલવાયુ જીવન જીવતા ડેન્ટલ કોલેજના પ્રોફેસર અને હેડ ઓફ ડીપાર્ટમેન્ટ તરીકે ફરજ બજાવતા તબીબે તેના ઘરે અકળ કારણોસર તેના ઘરે નાયલોનની દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
મળતી વિગત મુજબ, ઉત્તર પ્રદેશના વતની અને જામનગર શહેરના મોટરહાઉસ પાછળ આવેલા પાર્ક કોલોની એવા પોશ વિસ્તારમાં ભાડે મકાનમાં રહેતાં એવા ડો. પ્રચુનકુમાર અશ્ર્વિનકુમાર મલ્હોત્રા (ઉ.વ.44) નામના તબીબ બે માસ પહેલાં જ બરોડાના વાઘોડિયા રોડ પરની ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવતા હતાં જ્યાંથી તેમને જામનગર ગર્વમેન્ટ ડેન્ટલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં પ્રોફેસર અને ઓરલ સર્જરી વિભાગના વડા તરીકે નોકરી મળી હતી અને બે માસથી જામનગર રહેવા આવ્યા હતાં. દરમિયાન બુધવારે સવારના સમયે તેના ઘરે અગમ્યકારણોસર રૂમમાં દિવાલની બારીના એંગલમાં નાયલોન દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની હિમાંશુભાઇ ડોમરીયા દ્વારા 108 એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી ગઇ હતી. જ્યાં તબીબને મૃત જાહેર કરાયા હતાં.
આ અંગેની જાણના આધારે પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી ગયો હતો જ્યાં સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલવા કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ પોલીસે ઉત્તરપ્રદેશમાં રહેતાં મૃતક તબીબના પરિવારજનોને જાણ કરી હતી જેથી પરિવારજનો જામનગર આવવા નિકળી ગયા હતાં.