જામનગરના વેપારી સાથે મુંબઇના શખ્સએ રૂા. 45 લાખની છેતરપિંડી કરતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત મુજબ જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં રહેતા અને દ્વારકાધીશ સર્વિસીસ નામથી પવનચક્કી ઈન્સ્ટોલેશનનો પ્રોજેક્ટ ચલાવતા ધીરેન્દ્રભાઈ અશોકભાઈ સોલંકી એ મુંબઈની ઓટોમેટીક ક્રેઇન સર્વિસીસ નામની પેઢીને પાંચ લાખ ચૂકવવાના હતા, જેના બદલે ભૂલથી તેઓએ 50 લાખનું ચુકવણું કરી દીધું હતું, અને પાંચ લાખના શૂન્યના આંકડામાં પાછળથી એક વધુ જીરોનો આંકડો લાગી ગયો હતો. જે જાણવા છતા મુંબઈની પેઢીના સંચાલક જોગેન્દ્રસિંગ પાબલે એ તે રકમ પોતાના ખાતામાં જમા લઈ લીધી હતી, અને અનેક વખત તે વધારાની 45 લાખની રકમ પરત માંગવા છતાં આજ દિન સુધી પરત ચૂકવી ન હતી, અને અનેક બહાનાઓ બતાવ્યા હતા.
જેથી આખરે ધીરેન્દ્રભાઈ સોલંકી દ્વારા આ મામલાને પોલીસ મથકમાં લઈ જવાયો હતો. જ્યાં સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં જોગેન્દ્રસિંહ પાબ્લે સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ભારતીય ન્યાય સહિતા 2023ની કલમ 314 મુજબ ગુન્હો છે, અને તપાસનો દોર મુંબઈ સુધી લંબાવ્યો છે.


