Sunday, September 8, 2024
Homeરાષ્ટ્રીયઆઈ.ઓ.સી. ના સભ્ય તરીકે નીતા અંબાણી સર્વાનુમતે પૂન:ચૂંટાયા

આઈ.ઓ.સી. ના સભ્ય તરીકે નીતા અંબાણી સર્વાનુમતે પૂન:ચૂંટાયા

142 માં આઇ.ઓ.સી. સત્રમાં 100% મત સાથે સર્વાનુમતે પુન: ચૂંટાયા : આ પૂન: ચૂંટણી માત્ર એક વ્યક્તિગત સીમાચિન્હ નહીં પરંતુ, વૈશ્ર્વિક રમત ગમત ક્ષેત્રે ભારતના વધતા પ્રભાવને માન્યતા આપે છે : નીતા અંબાણી

- Advertisement -

પેરિસ 2024 ઓલિમ્પિક ગેમ્સના ઉદઘાટન સમારોહ અગાઉ આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ એ જાહેરાત કરીને અને ભારતીય અગ્રણી, રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક નીતા એમ. અંબાણી ભારત તરફથી આઈઓસીના સભ્ય તરીકે પેરિસમાં ચાલી રહેલા 142મા આઈઓસી સત્રમાં 100% મત સાથે સર્વાનુમતે ફરીથી ચૂંટાયા છે.

- Advertisement -

તેમની પુન:ચૂંટણી બાદ બોલતા નીતા. એમ. અંબાણીએ જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીના સભ્ય તરીકે ફરીથી ચૂંટાઈને હું ખૂબ જ સન્માનિત હોવાનો અનુભવ કરૂ છું. પ્રેસિડેન્ટ બાક અને આઇ.ઓ.સી.માં મારા તમામ સાથીદારોનો મારામાં વિશ્વાસ અને ભરોસા બદલ તેમનો આભાર માનું છું. આ પુન:ચૂંટણી માત્ર એક વ્યક્તિગત સીમાચિહ્ન નથી, પરંતુ વૈશ્વિક રમતગમત ક્ષેત્રે ભારતના વધતા પ્રભાવને પણ માન્યતા આપે છે. હું દરેક ભારતીય સાથે આનંદ અને ગર્વની આ ક્ષણ શેર કરૂ છું અને ભારત તથા સમગ્ર વિશ્વમાં ઓલિમ્પિક મૂવમેન્ટને મજબૂત કરવાના અમારા પ્રયાસો જારી રાખવાની અપેક્ષા રાખું છું.

નીતા અંબાણીની રિયો ડી જેનેરો ઓલિમ્પિક ગેમ્સ 2016માં આ પ્રતિષ્ઠિત સંગઠનમાં જોડાવા માટે પહેલીવાર નિમણૂક કરવામાં આવી હતી. ત્યારથી આઇ.ઓ.સી.માં જોડાનાર ભારતના પ્રથમ મહિલા તરીકે નીતા અંબાણીએ શરૂઆતથી જ એસોસીએશન માટે સઘન પ્રયત્નો કરવાની સાથે-સાથે ભારતની રમતગમતની મહત્વાકાંક્ષાઓ અને ઓલિમ્પિક વિઝનને પણ વેગવંતુ બનાવ્યું છે. ઓક્ટોબર 2023માં મુંબઈ ખાતે 40 વર્ષથી વધુ સમય બાદ આઇ.ઓ.સી.ના પ્રથમ સત્રના આયોજનનો તેમના આ પ્રયાસોમાં સમાવેશ થાય છે, આ સત્ર થકી વિશ્વ સમક્ષ નવા મહત્વાકાંક્ષી ભારતને રજૂ કરવા માટે ખૂબ પ્રશંસા થઈ હતી.

- Advertisement -

રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક અને ચેરપર્સન તરીકે નીતા અંબાણી લાખો ભારતીયોને સંસાધનો અને તકોથી સશક્ત બનાવવા માગે છે. તેઓ રમતગમત, શિક્ષણ, આરોગ્ય, કળા અને સંસ્કૃતિના ક્ષેત્રે વિવિધ અભિયાનો ચલાવે છે – આ તમામનો હેતુ સમગ્ર દેશમાં લોકોનું જીવન બહેતર બનાવવાનો છે. રિલાયન્સ ફાઉન્ડેશન તેની શરૂઆતથી ભારતમાં 22.9 મિલિયનથી વધુ બાળકો અને યુવાનો સુધી પહોંચી તળિયાથી લઈને ઉચ્ચ વર્ગ સુધીના તેના કાર્યક્રમો થકી ભારતના રમતના વિકાસને આગળ ધપાવવામાં મોખરે રહ્યું છે. આ સંસ્થા સમગ્ર ભારતમાં વિવિધ પ્રકારની રમતોને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં જ્યાં રમતગમત અને સાધનોની સવલત આપવામાં આવતી નથી.

ભારતીય ઓલિમ્પિક એસોસીએશન (આઇ.ઓ.એ.) સાથે લાંબાગાળાની ભાગીદારીના ભાગરૂપે રિલાયન્સ ફાઉન્ડેશન આ ઉનાળામાં પેરિસ ઓલિમ્પિક્સ 2024માં પ્રથમવાર ઈન્ડિયા હાઉસ શરૂ કરી રહ્યું છે. ઈન્ડિયા હાઉસ એ એથ્લિટ્સ માટે “ઘરથી દૂર એક ઘર” હશે, જીતની ઉજવણી કરવાનું સ્થળ હશે અને વિશ્વ સાથે ભારતની ઓલિમ્પિક સફર રજૂ કરશે. તે વૈશ્વિક ફલક પર રમતગમતમાં પ્રબળ શક્તિ બનવાની ભારતની મહત્વાકાંક્ષાઓ દર્શાવે છે, ઓલિમ્પિકમાં વધુ સફળતાને પ્રોત્સાહન આપે છે અને ભવિષ્યમાં ગેમ્સની યજમાની કરવા તરફનો માર્ગ મોકળો કરે છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular