હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે આજથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. જિલ્લા ભાજપ પ્રમુખ ડો. વિનોદ ભંડેરીના વરદ હસ્તે આ મહત્વપૂર્ણ પ્રક્રિયાનું શુભારંભ કરવામાં આવ્યો, જેને લઈને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

આ પ્રસંગે જામનગર માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, જિલ્લા ભાજપ મહામંત્રી કુમારપાલસિંહ રાણા, યાર્ડના વાઈસ ચેરમેન હિરેન કોટેચા, યાર્ડના સેક્રેટરી હિતેશ પટેલ, યાર્ડના ડિરેક્ટરો તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
ખરીદીની શરૂઆત સાથે જ નોંધાયેલા ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવી રહી છે, જેથી તેઓ સમયસર યાર્ડ ખાતે પહોંચી પોતાની ઉપજ વેચી શકે. શરૂઆતના તબક્કામાં આશરે 10 જેટલા ખેડૂતોને મેસેજ દ્વારા માહિતી પાઠવવામાં આવી છે.
આ ખરીદી પ્રક્રિયા આગામી બે મહિનાથી વધુ સમય સુધી ચાલુ રહેશે, જેના કારણે વધુમાં વધુ ખેડૂતો તેનો લાભ લઈ શકશે. નોંધણીના આંકડા મુજબ ચણામાં કુલ 6516 ખેડૂતો અને રાયડામાં 1033 ખેડૂતો દ્વારા નોંધણી કરવામાં આવી છે, જે ખેડૂતોએ સરકારની યોજના પ્રત્યે વિશ્વાસ દર્શાવ્યો છે.
View this post on Instagram
ખરીદીની મર્યાદા મુજબ એક ખેડૂત પાસેથી ચણામાં વધુમાં વધુ 90 મણ અને રાયડામાં 125 મણ સુધી જ માલ સ્વીકારવામાં આવશે. સરકાર દ્વારા ચણાનો ટેકાનો ભાવ પ્રતિ મણ ₹1175 અને રાયડાનો ₹1240 નક્કી કરવામાં આવ્યો છે.
હાલ ખુલ્લા બજારમાં ચણાનો ભાવ આશરે ₹1000 આસપાસ ચાલી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી શરૂ થતા ખેડૂતોને યોગ્ય અને સંતોષકારક ભાવ મળી રહ્યો છે.
માર્કેટિંગ યાર્ડ ખાતે ખરીદી પ્રક્રિયા સુચારૂ રીતે ચાલે તે માટે તમામ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. ખેડૂતોને કોઈપણ મુશ્કેલી ન પડે તે માટે તંત્ર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.
આ સમગ્ર પહેલથી ખેડૂતોને આર્થિક રીતે મોટો ફાયદો થવાની સાથે તેમની આવકમાં વધારો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


