કાલાવડ તાલુકાના કૃષ્ણપુર ગામની સીમના વાડી વિસ્તારમાં રહેતી યુવતીએ ભાગીને પ્રેમલગ્ન કર્યા હતાં. તેના કારણે માતા-પિતાએ સંબંધ નહીં રાખવાનું કહી ઠપકો આપતાં મનમાં લાગી આવતાં વાડીએ ચુંદડી વડે પાઇપમાં ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

આત્મહત્યાના બનાવની મળતી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભાભરા તાલુકાના રીંગોલ ગામની વતની અને હાલ કાલાવડ તાલુકાના કૃષ્ણપુર ગામની સીમમાં આવેલી વિપુલભાઇના ખેતરમાં મજૂરીકામ કરતી લત્તાબેન અંકલેશ ગણાવા (ઉ.વ.18) નામની યુવતીએ થોડાં સમય પહેલાં પરિવારજનોથી વિરૂઘ્ધ જઇ અંકેલશ ગણાવા નામના યુવક સાથે ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. આ પ્રેમલગ્નના કારણે યુવતીના પરિવારજનો નારાજ હતાં. યુવતીના માતા-પિતાએ તેની સાથે સંબંધ નહીં રાખવાનું અને ફોન પણ નહીં કરવાનો કહીને ઠપકો આપ્યો હતો. જે બાબતનું માઠું લાગી આવતા લત્તાબહેને ગત્ તા. 15 ફેબ્રુઆરીએ સાંજના સમયે વાડીમાં છાપરાના પાઇપમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવતીને બેશુદ્ધ હાલતમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમ્યાન તા. 02 માર્ચના રોજ મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવની મૃતકના પતિ દ્વારા જાણ કરાતા પીએસઆઇ આર. બી. ઠાકોર તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.


