જામનગર સિંધી સમાજ દ્વારા લોકશાહીના મૂલ્યો અને પરસ્પર સમજૂતીના સંગમ સાથે આગામી 3 વર્ષની ટર્મ માટે નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. ગત 31 જાન્યુઆરીના રોજ યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સમાજના વિકાસ અને સંગઠનને વધુ મજબૂત કરવાના સંકલ્પ સાથે નવી ટીમની જાહેરાત કરવામાં આવી હતી.
આ બેઠક દરમિયાન પ્રમુખ પદ માટે છેલ્લા ચાર દાયકાઓથી વિવિધ સંસ્થાઓમાં હોદ્દેદાર હોવા છતાં હંમેશા ’સામાન્ય સેવક’ બનીને કાર્યરત રહ્યા છે.જેમની બહુમુખી પ્રતિભા અને નિ:સ્વાર્થ સેવાભાવનાને ધ્યાને રાખીને સમાજે તેમના નામ પર સર્વાનુમતે મહોર લગાવી સાથ-સહકારની ભાવના સાથે સર્વ સંમતિ સાધવામાં આવી હતી. જેના પરિણામે ઉધવદાસ ભૂગડોમલ ચંદિરામાણીની પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે. અને સમાજના વડીલ અને ગુજરાત રાજ્ય સરકારના પૂર્વ મંત્રી પરમાનંદભાઈ ખટ્ટરની ’ચેરમેન’ પદે પુન: નિયુક્તિ કરવામાં આવી છે. જેમણે દાયકાઓથી જામનગરથી લઈ અખિલ ભારતીય સિંધી સમાજ સુધી જેમણે પોતાની નિષ્ઠાવાન સેવાઓ આપી છે, તેવા પરમાનંદભાઈનું માર્ગદર્શન આગામી સમયમાં સમાજને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
આ નવી નિમણૂક બાદ બન્ને અનુભવી અને સેવાના ભેખધારી હોદ્દેદારોએ જણાવ્યું હતું કે, “અમારો મુખ્ય ઉદ્દેશ્ય સિંધી સમાજમાં એકતા જાળવી રાખવાનો અને યુવા પેઢીને સમાજના ઉત્થાન માટે જોડવાનો છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક સુરક્ષાના ક્ષેત્રોમાં જામનગર સિંધી સમાજ અગ્રેસર રહે તે માટે અમે કટિબદ્ધ છીએ. આ વરણીને જામનગરના સમગ્ર સિંધી સમાજે સહર્ષ વધાવી નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.


