રાજ્ય સરકારે છેલ્લા દોઢ મહિનામાં બેડની સંખ્યામાં વધારો કરીને 41,000 થી 1 લાખ બેડ તેમજ 18000 થી 58000 ઓક્સિજન બેડ રાજ્યભરમાં ઉપલબ્ધ કરાવ્યા છે. રાજ્ય સરકાર ગુજરાતની 1900 હોસ્પિટલના 58,000 બેડને સતત 24 કલાક ઓક્સિજન પૂરો પાડી રહી છે તેમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
વિજયભાઈ રૂપાણીએ વધુમાં ઉમેર્યું કે, કોરોનાના કપરાકાળમાં રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 1000 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું કરવાનું આયોજન કર્યું છે તે સમગ્ર ગુજરાત માટે આનંદની વાત છે.
આગામી સમયમાં 1000 બેડની સંપૂર્ણ ક્ષમતાની ઓક્સિજન સુવિધા સહિતની આ હોસ્પિટલ કાર્યરત થવાથી જામનગર તેમજ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર વગેરે જિલ્લાઓના નાગરિકો-લોકો માટે કોરોના સંક્રમણ સારવારની મોટી સુવિધા ઘર આંગણે મળતી થશે.
ગુરૂ ગોવિંદસિંહ જી.જી. હોસ્પિટલની પ્રતિષ્ઠા ખૂબ સારી છે, ત્યાં આવનાર દરેક દર્દી સાજો થઈને ઘરે પરત ફરે છે, આ પ્રકારની પ્રતિષ્ઠા ઉભી કરનાર હોસ્પિટલના તમામ તબીબી સ્ટાફ અભિનંદનને પાત્ર છે તેમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું.
આ પ્રસંગે રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ગ્રુપ પ્રેસિડન્ટ ધનરાજભાઈ નથવાણી, જામનગરના સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, મેયર બિનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર તપન પરમાર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન મનિષ કટારીયા, કલેક્ટર રવિશંકર, મહાનગરપાલિકા કમિશનર સતિષ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડો. વિપીન ગર્ગ, એમ.પી.શાહ મેડીકલ કોલેજના ડીન નંદિની દેસાઈ, જે.જી. હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. દિપક તિવારી, સરકારી ડેન્ટલ કોલેજાના ડીન ડો. નયના પટેલ ઉપસ્થિત રહ્યા હતા.


