Tuesday, September 17, 2024
Homeરાજ્યહાલારવડાપ્રધાન પાસે તૂટેલા સાની ડેમમાં પાણી છોડવાના લોકાર્પણ કરાવ્યાનો આક્ષેપ

વડાપ્રધાન પાસે તૂટેલા સાની ડેમમાં પાણી છોડવાના લોકાર્પણ કરાવ્યાનો આક્ષેપ

કિસાન આગેવાન દ્વારા આક્ષેપ ડેમમાં છોડેલું પાણી દરિયામાં જતું રહે છે : ચાચલાણા અને બેરાજા સબ સ્ટેશન તાકીદે લોકાર્પણ કરવા માંગણી : સાની ડેમ તાત્કાલિક રીપેર કરી ચાલુ કરવા રજૂઆત

- Advertisement -

આગામી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કહેવાય છે કે રાજ્ય સરકાર એટલી મશગુલ છે કે લોકાર્પણ કરવાની ઉતાવળમાં ને ઉતાવળમાં ભૂલી જાય છે કે જેનું આપણે લોકર્પણ કરીએ છે એનું ફળ જનતા સુધી પહોંચે છે કે પાણીમાં વહી જાય છે ? એની પણ ખરાઈ કરવામાં આવતી નથી. જેના ઉદાહરણ તરીકે તાજેતરમાં દેશના વડાપ્રધાનના હસ્તે જામનગરથી નર્મદાના નીર લોકો સુધી પહોંચાડવા લોકર્પણ કાર્યક્રમ કર્યો અને નર્મદાના નીર છોડવામાં આવ્યા હતા.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકા સ્થિત સાની ડેમમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું તે પાણી લોકાર્પણના દિવસથી આજ દિવસ સુધી દરિયામાં વહી જાય છે. કારણ કે છેલ્લા 5 વર્ષથી સાની ડેમ તો સંપૂર્ણપણે તૂટેલો પડ્યો છે તો શું કોઈ અધિકારી- પદાધિકારીઓએ આ બાબતની દરકાર કરી જ નહીં? તૂટેલા સાની ડેમમાં પાણી છોડી બધું પાણી દરિયામાં વહાડાવી સરકાર શું સાબિત કરવા માંગે છે ? તેવા સવાલ સાથે વિરોધપક્ષ તરીકે અહીંના કિસાન અગ્રણી પાલભાઈ આંબલીયા દ્વારા મુખ્યમંત્રી વિગેરેને એક પત્ર પાઠવી જણાવ્યું હતું કે સરકારના અધિકારીઓ પુરતી તપાસ અને વાસ્તવિકતા જાણ્યા વગર જ લોકાર્પણ કાર્યક્રમો કરાવી દેશના વડાપ્રધાનનું અપમાન કરાવી રહ્યા હોય તેવું ચિત્ર જોવા મળી રહ્યું છે. વડાપ્રધાનના હાથે થયેલા લોકાર્પણ કાર્યક્રમના લીધે લોકોમાં હાંસી થાય એના બદલે એવા કામો કરવા જોઈએ જેનાથી લોકો તેમની વાહવાહી કરે. જો એ કામો સરકારના અધિકારીઓ, ભાજપના પદાધિકારીઓના ધ્યાનમાં ન હોય તો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા વધુમાં જણાવ્યું છે કે આગામી તારીખ 19 ના રોજ વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે, ત્યારે તેમના હાથે જરૂરી લોકાર્પણ અંગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપૂર તાલુકાના ચાચલાણા ગામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા આશરે સાડા પાંચ કરોડના ખર્ચે 66કે.વી. સબ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. તારીખ 16/01/2015 ના રોજ રાજ્ય સરકારના રાજ્ય કક્ષાના મંત્રી જયદરથસિંહ પરમાર અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના અધ્યક્ષ ભુપેન્દ્રભાઈ લખાવાળા તથા એસ.કે. નેગી (મેનેજિંગ ટ્રસ્ટી ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ) દ્વારા ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. તેમને તાત્કાલિક લોકાર્પણ કરવામાં આવે.

આ જ રીતે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બેરાજા ગામે જેટકોનું 66 કે.વી. સબ સ્ટેશન 2017 થી તૈયાર થઈ ગયેલું છે. તેનું પણ તાત્કાલિક લોકાર્પણ કરવામાં આવે 2015 થી ચાચલાણા અને 2017 થી બેરાજા 66 જે.વી. તૈયાર થઈને લોકાર્પણની રાહ જોતા જોતા 7 વર્ષના વાણાં વીતી ગયા પણ હજુ સુધી આ આ સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં નથી આવ્યું. જેના કારણે આ લાભાર્થી ગામો જેમ કે ચાચલાણા, દેવરિયા, લાંબા, ગાંગડી, સતાપર ગામોના એવી જ રીતે બેરાજા આસપાસના બેરાજા, નાના આસોટા, મોટા આસોટા, ઝાકસિયા, દાત્રાણા, હંજડાપર, સોનારડી, સીદસરા, ધંધુસર, ચારબારા સહિતના ગામોના અંદાજે 20 થી 30 હજાર ખેડૂતોને સાતેક વર્ષથી વીજળીના ધાંધિયા સહન કરવા પડ્યા છે.

- Advertisement -

આ ઉપરાંત અંદાજિત રૂ. સાડા પાંચ કરોડની મશીનરીને કાટ ચડી રહ્યો છે. તો આટલી મોંઘી મશીનરીને ખરાબ કરી નાખવા પાછળનો ઈરાદો સામે પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. સાત વર્ષથી બંધ પડેલી કરોડો રૂપિયાની મશીનરી ખરાબ થઈ રહી છે. જેના કારણે જેટલું નુકશાન સરકારે ભોગવવું પડ્યું છે એના 25 ટકા રકમ જેના ખેતરમાંથી વીજ લાઇન પસાર થાય છે, તેવા તમામ ખેડૂતોને આપી દીધી હોત તો પણ 75 ટકા નુકશાની તો બચાવી શક્યા હોત. જેમાં 15 ગામોના ખેડૂતોને નિરંતર અને સમયસર વીજ પુરવઠો આપી શક્યા હોત.

તૂટેલા સાની ડેમમાં વડાપ્રધાનના હાથે પાણી છોડવા સામે જરૂરી કાર્યવાહી કરી, આ ડેમ તાકીદે રીપેર થાય અને લોકોને ઉપયોગમાં આવે તે તેવી માંગ સાથે 5.50 કરોડની મશીનરીને થયેલા નુકશાન બાબતે જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે, ખેડૂતો સાથે સમાધાનકારી વલણ અપનાવી ખેડૂતોની વ્યાજબી માંગણીઓ સ્વીકારી વીજ લાઇન પસાર કરી તાત્કાલિક 66 કે.વી. ચાચલાણા અને બેરાજા સબ સ્ટેશનનું વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ કરાવી, ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે નહીંતર નાછૂટકે ખેડૂતોને સાથે રાખી, ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular