લાલપુર તાલુકાના વડપાંચસરા ગામની સીમમાં આવેલા ખેતરમાં મજુરી કામ કરતા પતિ-પત્ની વચ્ચે મગફળીના પાથરા ભેગા કરવાની બાબતે થયેલી બોલાચાલીનું લાગી આવતા યુવતીએ ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. જોડિયા તાલુકાના પીઠડ ગામની સીમમાં આવેલા ખેતર સામેના વોંકળામાંથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ પ્રથમ બનાવ લાલપુર તાલુકાના વડપાંચસરા ગામની સીમમાં આવેલા રમેશભાઈના ખેતરમાં મજુરી કામ કરતા મડીબેન માવડા અને તેના પતિ મહેન્દ્રભાઈ માવડા રવિવારે સવારના સમયે ખેતરમાં આવેલી તેની ઓરડીમાં બેઠા હતાં ત્યારે પતિ મહેન્દ્રભાઇએ મગફળીના પાથરા ભેગા નથી કરવા અને પાંદડા ખરી જાય છે આ બાબતે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી જે બોલાચાલીનું મનમાં લાગી આવતા મડીબેનએ ઓરડીમાં પડેલી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તબિયત લથડતા સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર કારગત નિવડે તે પહેલાં જ મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ મહેન્દ્ર દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન.જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જોડિયા તાલુકાના પીઠડ ગામની સીમમાં આવેલી વિરમભાઈ બરબચીયા નામના વૃધ્ધના ખેતરની સામેના વોંકળામાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ નજરે પડતા આ અંગેની પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.


