જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા શ્રમિક પ્રૌઢને તેની પત્ની સાથે બોલાચાલી થતા પત્ની રીસામણે જતી રહેતા મનમાં લાગી આવતા ઝાડમાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગોકુલનગર શેરી નં.5 માં રહેતાં અને મજૂરી કામ કરતા પ્રવિણભાઈ હરજીભાઈ કણજારિયા (ઉ.વ.53) નામના પ્રૌઢને તેની પત્ની મીનાબેન સાથે રાત્રિના સમયે બોલાચાલી અને ઝઘડો થતા પત્ની તેની બહેનના ઘરે રીસામણે જતી રહી હતી. આ બાબતનું મનમાં લાગી આવતા પ્રવિણભાઈએ ગત શનિવારે મધ્યરાત્રિના સમયે સાંઢીયા પુલ પાસે મામાદેવના મંદિર નજીક આવેલા ઝાડમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતા પીએસઆઈ વી.એ. પરમાર સહિતનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળી ઓળખ મેળવી મૃતકના પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે મૃતકની પત્ની મીનાબેનના નિવેદનના આધારે મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


