ખંભાળિયાના રામનગર વિસ્તારમાં એક પરિણીત યુવાનની થોડા દિવસો પૂર્વે થયેલી કરપીણ હત્યાના પ્રકરણમાં પોલીસ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા આરોપી એવા મૃતકના કુટુંબી મોટા બાપુ તેમજ તેમની બે પુત્રીઓની અટકાયત કરી મેળવેલા પોલીસ રિમાન્ડમાં કેટલીક ચોંકાવનારી વિગતોમાં યુવાનના એક તરફથી પ્રેમની બાબત પ્રકાશમાં આવી છે.
ખંભાળિયા તાલુકામાં અતિ ચર્ચાસ્પદ બની ગયેલા આ પ્રકરણની વિગત મુજબ અહીંના રામનગર વિસ્તારમાં ગુંદમોરા સીમ ખાતે રહેતા જશવંતભાઈ અશ્વિનભાઈ ચોપડા નામના 25 વર્ષના પરિણીત સતવારા યુવાનને તિક્ષ્ણ હથિયારના ઘા ફટકારીને હત્યા નીપજાવવા સબબ મૃતકના કુટુંબી મોટા બાપુ રવજીભાઈ ભાણાભાઈ ચોપડા તથા તેમની બે પુત્રીઓ કિરણબેન રવજીભાઈ અને કાજલબેન રવજીભાઈ ચોપડા સામે નોંધાવવામાં આવેલી ફરિયાદને અનુલક્ષીને પોલીસ દ્વારા ઉપરોક્ત આરોપી પિતા-પુત્રીઓની અટકાયત કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા હતા.
આ રિમાન્ડ દરમિયાન પોલીસને મળેલી પ્રાથમિક વિગતો આપતા અહીંના ડીવાયએસપી વી.પી. માનસેતાએ જણાવ્યું હતું કે જશવંતને તેના કુટુંબી બહેન એવી રવજીભાઈની પુત્રી કિરણ સાથે એક તરફથી પ્રેમ હતો અને કથિત રીતે તેની પાસે રહેલી કેટલીક વીડીયો ક્લીપના કારણે તે કિરણને બ્લેક મેઈલ કરતો હોવાની વાત વચ્ચે હત્યાના બનાવના દિવસે જશવંત તેણીના ઘરે ગયો હતો. ત્યાં કેટલીક અયોગ્ય માંગણીના કારણે કિરણે તેની હત્યા નિપજાવી હતી. આ હત્યા પ્રકરણમાં તેણીની બહેન કાજલ તથા પિતા રવજીભાઈએ પણ મદદગારી કરી હોવાનું પ્રાથમિક વિગતમાં ખુલવા પામ્યું છે.
આરોપીઓ દ્વારા જસવંતને ગળા ટૂંપો દઈને માથાના ભાગે બોથડ પદાર્થ ફટકારી હત્યા નીપજાવી હોવાનું પ્રાથમિક વિગતમાં જાહેર થયું છે. વધુ ઊંડાણપૂર્વકની વિગત એફએસએલના રિપોર્ટ બાદ ખુલવા પામશે. આ સમગ્ર હત્યા પ્રકરણ નાના એવા રામનગર વિસ્તાર સાથે સતવારા સમાજમાં ભારે ચર્ચાસ્પદ બની ગયું છે.


