
છત્તીસગઢના બિલાસપુરમાં ગુરુવારે એક જ પરિવારના આઠ લોકોના મૃત્યુ નીપજ્યા છે.અને પાંચની હાલત નાજુક હોવાનું જણાવાયું છે. આ કેસમાં ચીફ મેડિકલ ઓફિસર એ કહ્યું હતું કે હોમીયોપેથીક દવા પીવાથી તમામના મૃત્યુ થયા હોય તેવું બની શકે છે. આ લોકોએ હોમિયોપેથીક દવા ડ્રોસેરા 30 પી લીધી હતી. જેમાં ૯૧% આલ્કોહોલનું પ્રમાણ હોય છે. દવા આપનાર ડોક્ટર હજુ ફરાર છે. એવું માનવામાં આવી રહ્યું છે કે પરિવારે કોરોનાના સંક્રમણથી બચવા આલ્કોહોલ યુક્ત દવા લીધી હશે.
સીએમઓએ જણાવ્યું કે, આખા પરિવારે હોમિયોપેથીક દવા ડ્રોસેરા 30 લીધી હતી. તેમાં આલ્કોહોલનું પ્રમાણ 91 ટકા જેટલું હોય છે, જે દેશી દારૂ સાથે મિલાવવામાં આવે છે. આ લેવી ખૂબ જ જોખમી સાબિત થાય છે અને ઘણા કિસ્સાઓમાં તે લેનારા માટે ઝેરનું કામ પણ કરે છે. બિલાસપુરના કોરમી ગામે રહેતા 13 લોકોએ દવા પી લેતા તમામની તબિયત લથડી હતી. જેમાં 8 લોકોના મૃત્યુ નીપજ્યા છે અને 5 લોકોની હાલત ગંભીર છે. બિલાસપુરના ચીફ મેડિકલ ઓફિસરે જણાવ્યું કે હોમિયોપેથીક દવા મોતનું કારણ હોઈ શકે કારણ કે તે એક આલ્કોહોલિક છે.
મૃતકોમાં કમલેશ ધુરી (32), અક્ષય ધુરી (21), રાજેશ ધુરી(21), સમરું ધુરી (25) નામના ચાર લોકોના ઘરે જ મૃત્યુ નીપજ્યા હતા. બાદમાં તેમના અંતિમ સંસ્કાર કરી દેવામાં આવ્યા હતા. અને પોલીસને આ અંગે જાણકારી મળતા તેમના ઘરે જઈને જોયું તો પરિવારના અન્ય સભ્યો પણ બીમાર હતા અને બાદમાં હોસ્પિટલ ખસેડવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો.


