મહારાષ્ટ્ર વિધાનસભાના મોનસૂન સત્ર દરમિયાન OBC અનામતના મુદ્દે સ્પીકરની ખુરસી પર બેઠેલા ભાસ્કર જાધવની સાથે ગેરવતર્ણૂંક કરવાના આરોપમાં ભાજપના 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવે સદનને સમજાવ્યું કે, જ્યારે સદન સ્થગિત થયું ત્યારે ભાજપના નેતા તેમની કેબિનમાં આવ્યા તથા વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ અને વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટિલની હાજરીમાં તેમને અપશબ્દો કહેવામાં આવ્યા. કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવે સંસદીય મામલાઓના મંત્રીને આ મુદ્દે તપાસ કરવા કહ્યું છે.
આ તરફ વિપક્ષે એવો પણ આરોપ લગાવ્યો કે, કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવે વિપક્ષી દળોના નેતાને પણ અપશબ્દ કહ્યા. હકીકતે બે દિવસીય ચોમાસુ સત્રના પહેલા દિવસે ઓબીસી અનામત મુદ્દે વિપક્ષે સદનમાં હંગામો મચાવ્યો હતો. વિપક્ષનો આરોપ છે કે, કાર્યવાહક સ્પીકર ભાસ્કર જાધવે બોલવા માટે પૂરતો સમય ન આપ્યો. વિપક્ષે કાર્યવાહીનો બહિષ્કાર કર્યો.
વિધાનસભાએ એક પ્રસ્તાવ પાસ કર્યો હતો જેમાં કેન્દ્ર પાસે 2011ની વસ્તી ગણતરીના આંકડા ઉપલબ્ધ કરવા વિનંતી કરવામાં આવી હતી જેથી રાજ્ય પછાત વર્ગ આયોગને ઓબીસી વસ્તીના ડેટા તૈયાર કરવા સક્ષમ બનાવી શકાય અને સ્થાનિક સંસ્થાઓમાં રાજકીય અનામત લાગુ કરી શકાય.
એનસીપી નેતા અને રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભૂજબળ દ્વારા રજૂ કરવામાં આવેલા આ પ્રસ્તાવને ભાજપના સદસ્યોના હંગામા વચ્ચે પાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ભાજપના સદસ્યો સદનની વેલમાં આવી ગયા હતા અને રાજ્ય સરકાર વિરૂદ્ધ નારેબાજી કરવા લાગ્યા હતા. વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે આ પ્રસ્તાવને રાજકારણથી પ્રેરિત ગણાવ્યો હતો.