જામનગર તાલુકાના લાખાબાવળથી દરેડને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માત હાલતમાં હોવાથી સ્થાનિકોમાં ભારે નારાજગી વ્યાપી હતી. વરસાદ બાદ રસ્તામાં મોટા ખાડા પડતાં વાહનચાલકોને ભારે તકલીફનો સામનો કરવો પડતો હતો. આ માર્ગ પર લાખાબાવળ, દરેડ સહિતના આસપાસના ગામના લોકો દૈનિક અવરજવર કરતા હોય છે.
સ્થાનિકોએ અનેકવાર તંત્રને રજૂઆત કરી હોવા છતાં રસ્તાનું કામ ન થતા, લોકોએ સ્વયંભૂ ફાળો એકત્ર કરી પોતે જ રસ્તાના રીપેરનું કાર્ય હાથ ધર્યું. અંદાજે એક કિલોમીટરના માર્ગમાં 15 જેટલા લોકોએ મળીને આશરે રૂ. 25,000નો ખર્ચ કર્યો હતો. પાંચ કલાક સુધી શ્રમદાન કરીને ખાડાઓમાં માટી ભરાવી રસ્તાને વાહનવ્યવહાર લાયક બનાવવામાં આવ્યો.
મુખ્ય હાઈવેથી દરેડ સુધીના આ એક કિલોમીટરના માર્ગને હાલ તો સ્થાનિકોએ તાત્કાલિક ઉપયોગ લાયક બનાવી દીધો છે, પરંતુ તેમની માંગ છે કે વહેલી તકે સરકાર દ્વારા આ માર્ગનું કાયમી નિર્માણ કરવામાં આવે.


