જામનગરમાં વોર્ડ નંબર એકનો કોંગ્રેસનો કિલ્લો ફતેહ કરવા ભાજપે કમર કસી હોય તેવું જણાઇ રહ્યું છે. જામનગરમાં અસ્તિત્ત્વ ટકાવી રાખવા માટે ઝઝુમી રહેલી કોંગ્રેસને મરણતોલ ફટકો મારવાની વ્યૂહરચનાના ભાગરૂપે શહેર ભાજપે કોંગ્રેસના આ ગઢમાં સ્નેહમિલન યોજીને પોતાના ઇરાદાઓ સ્પષ્ટ કરી દીધા હોય તેવું જણાઇ રહ્યું છે. શહેરમાંથી કોંગ્રેસના નામશેષ કરવાના ભાગરૂપે ભાજપે તેના રાજકીય વિસ્તાર માટે યોજેલા આ સ્નેહમિલનમાં કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવવાની શરૂઆત કરી દીધી છે.
વોર્ડ નં. 1માં ભાજપ દ્વારા તાજેતરમાં ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. કાર્યક્રમ દરમિયાન સ્થાનિક નેતાઓએ લોકોને સ્વદેશી વસ્તુઓના ઉપયોગ તરફ પ્રોત્સાહિત કર્યા અને આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવા માટે અપીલ કરી હતી.
View this post on Instagram
આ કાર્યક્રમ દરમિયાન અનેક લોકોએ ભાજપમાં સત્તાવાર રીતે જોડાયા, જેમાં વિસ્તારના મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યા સામેલ થયા. આ જોડાણ ભાજપ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે વોર્ડ નં. 1 લાંબા સમયથી કોંગ્રેસનો પરંપરાગત ગઢ રહ્યો છે.
બીજી તરફ, શહેર કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ઓછી સંખ્યામાં રહેલા કોંગ્રેસના કોર્પોરેટરો અને કાર્યકરો વચ્ચે મતભેદ અને અંતર દેખાઈ રહ્યું છે. સંગઠનના તબક્કે એકતા ન દેખાતાં કાર્યકર્તાઓમાં પણ નિરાશા જોવા મળી રહી છે.
તેના મુકાબલે, શહેર ભાજપ પ્રમુખ બિનાબેન કોઠારીના નેતૃત્વ હેઠળ ભાજપે તમામ વોર્ડમાં સક્રિયતા વધારી છે. વોર્ડ સ્તરે સંગઠનને મજબૂત બનાવવા, નવા સભ્યો જોડવા અને મતદારો સુધી સીધી પહોંચ મેળવવા ભાજપની ટીમ મેદાને ઉતરી છે.
ગત ચૂંટણીમાં પણ કેટલાક પૂર્વ કોંગ્રેસી આગેવાનો ભાજપમાં જોડાયા હતા, જ્યારે હાલની જોડાણ લહેરથી ભાજપને વધુ બળ મળ્યું છે. રાજકીય નિરીક્ષકો માને છે કે જો કોંગ્રેસની આંતરિક લડાઈ યથાવત રહે અને ભાજપ આ જ રીતે સક્રિયતા જાળવે, તો આવનારી મહાનગરપાલિકા ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ લાભ મળી શકે છે.


