જામનગર શહેરના સાત રસ્તા પાસે નિર્માણ થઇ રહેલા ઓવરબ્રીજના સર્વિસ રોડ પર ગઇકાલે મોટી કપચીઓ પાથરી દેવાતાં રોડ પરથી પસાર થતાં વાહનચાલકોને મહામુસીબતે આ રસ્તો પસાર કરવો પડે છે. મોટી કપચીના કારણે વાહનો ફસાઇ જવા તથા બાઇક સ્લીપ થવાની અને વાહનચાલકોની જિંદગી જોખમાય તેવી સ્થિતિ સર્જાઇ હતી. આ સમાચારનો અહેવાલ ‘ખબર ગુજરાત’ દ્વારા પ્રસિઘ્ધ કરાયા બાદ ગણતરીના કલાકોમાં જ રાતોરાત આ રસ્તા પર ડાયવર્ઝન કરી અને યુદ્ધના ધોરણે રોડ બનાવી દેવામાં આવ્યો હતો.
“ચમત્કાર વગર નમસ્કાર નહીં” એ ઉક્તિને સાર્થક કરવાની ઘટના રોજબરોજની જિંદગીમાં બનતી હોય છે. આવી જ એક બનેલી ઘટનામાં જામનગરમાં નિર્માણ પામી રહેલા સૌરાષ્ટ્રના સૌથી મોટા બ્રીજમાં સાત રસ્તા પાસેના સર્વિસ રોડ પર ગઇકાલે કોન્ટ્રાક્ટર દ્વારા મોટી કપચીઓ પાથરી દેવામાં આવી હતી. જેના કારણે આ રોડ પરથી દરરોજ પસાર થતાં હજારો વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. નાના વાહનોએ તો આ રોડ પરથી થવું પણ અતિમુશ્કેલ અને જોખમભર્યું બની ગયું હતું. અમુક વાહનો તો કપચીવાળા રોડ પર ફસાઇ જતા અન્ય વાહનચાલકોની મદદથી મહામુસિબતે રસ્તો પસાર કરી શકયા હતા. સર્વિસ રોડ પર કપચી નાખ્યાના બનાવને ‘ખબર ગુજરાત’ના ડિઝિટલ પ્લેટફોર્મ ઉપર વિડિયો સાથે સમાચાર પ્રસિઘ્ધ કરવામાં આવતા હંમેશા પ્રજાના અવાજ સાથે જોડાયેલા ‘ખબર ગુજરાત’એ તટસ્થ રીતે સમાચારને પ્રબ્લિશ કરતાં કોન્ટ્રાકટર અને તંત્રને કુંભકર્ણની નિદ્રામાંથી સફાળા જગાડી દીધા હતા.
View this post on Instagram
‘ખબર ગુજરાત’ના અહેવાલનો પડઘો કહેવત ‘ચમત્કાર વગર નમસ્કાર નહીં’ને વધુ એક વખત સાર્થક કરી હતી. કોન્ટ્રાક્ટર દ્વારા રાતોરાત આ કપચીવાળા રોડ પર યુદ્ધના ધોરણે રોડ બનાવી દેવામાં આવ્યો હતો. આજે સવારે ‘ખબર ગુજરાત’એ ફરીથી આ સમાચારનું રીપોર્ટીંગ કરી પ્રજાને અર્પણ કર્યું હતું.


