જામનગરમાં જીએસટી વિભાગની ટૂકડીઓ દ્વારા પાડવામાં આવેલા દરોડાની કાર્યવાહી આજે છઠ્ઠા દિવસે પણ સતત ચાલુ રહેવા પામી છે. જામનગરના જીએસટી ઈતિહાસની આ સૌથી મોટી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં કરવામાં આવેલી તપાસ દરમ્યાન અંદાજે 500 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા છે. ઇનપુટ ટેક્સ ક્રેડિટના આ મસમોટા કૌભાંડથી જીએસટીના ઉચ્ચ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા છે. આગામી દિવસોમાં આ કૌભાંડમાં મોટામાથાઓની ધરપકડના ભણકારા પણ વાગી રહ્યાં છે. દિવાળી ટાણે જ શહેરમાંથી બહાર આવેલા આ કૌભાંડને લઇ માત્ર જામનગરમાં જ નહીં, પરંતુ રાજ્યભરમાં ચકચાર મચી જવા પામી છે.
અમદાવાદની જીએસટી ટીમ દ્વારા જામનગરમાં અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી હાથ ધરાઈ છે. વિભાગ દ્વારા વિવિધ પેઢીઓ તથા સંકળાયેલા વ્યક્તિઓ સામે તપાસ ચાલુ રાખવામાં આવી છે. તાજેતરના તબક્કામાં અંદાજે ₹ 5. કરોડના થી વધુ ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) વેરા શાખ બ્લોક કરવામાં આવ્યા છે તેમજ રૂ.1 કરોડથી વધુની બેંક બેલેન્સ સીઝ કરવામાં આવી છે.
View this post on Instagram
મુખ્ય સૂત્રધાર ગણાતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અલ્કેશ પેઢડીયા હજી સુધી જીએસટી ટીમથી નાસ્તા ફરતા હોવાથી વિભાગે તેમને સમન્સ નોટિસ ફટકારી છે અને તપાસમાં સહકાર આપવા આદેશ આપ્યો છે.
પ્રાથમિક તપાસ મુજબ અંદાજે ₹500 કરોડથી વધુના સંદિગ્ધ વ્યવહારો સામે આવ્યા છે. તપાસ અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આ વ્યવહારોમાંથી આશરે ₹100 કરોડથી વધુના ફેક ITC ક્લેમ કરાયા હોઈ શકે છે. આ કાર્યવાહી સાથે શહેરની અનેક પેઢીઓ અને વેપારીઓમાં ચકચાર મચી ગઈ છે. જીએસટી ટીમ દ્વારા આગામી દિવસોમાં વધુ મહત્વની પેઢીઓ પર પણ કાર્યવાહી થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.


