વાંકિયા ગામમાં જલારામ બાપાના મંદિરે દર્શન કરી રાજકોટ તરફ બાઇક પર જતાં વૃદ્ધને બેફિકરાઇથી આવી રહેલી કારના ચાલકે હડફેટ લેતાં સર્જાયેલા અકસ્માતમાં વૃદ્ધનું ગંભીર ઇજા પહોંચયાના બનાવમાં પોલીસે કારચાલક વિરૂઘ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ રાજકોટના રૈયા રોડ પરના જે કે પાર્ક વિસ્તારમાં રહેતાં પ્રવીણચંદ્ર વિઠ્ઠલપરા (ઉ.વ.આ.70) નામના વૃદ્ધ ગત્ તા. 23 સપ્ટેમ્બરના સાંજના સાત વાગ્યાના અરસામાં ધ્રોલ તાલુકાના વાંકિયા ગામમાં આવેલા જલારામ બાપાના મંદિરે દર્શન કરવા આવ્યા હતા. ત્યાંથી પરત ધ્રોલ તરફ તેના જીજે03-એમએ-1914 નંબરના બાઇક પર આવતા હતા ત્યારે સામેથી પુરઝડપે અને બેફિકરાઇથી આવી રહેલી જીજે25-ઝેડ-2747 નંબરની કારના ચાલકે બાઇકચાલક વૃદ્ધને ઠોકર મારી હડફેટ લેતાં અકસ્માતમાં વૃદ્ધને શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. વૃદ્ધને સારવાર માટે નજીકની હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન વૃદ્ધનું શનિવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર તુષારભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. જે. કે. દલસાણિયા તથા સ્ટાફએ હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


