જામનગરમાં સાધના કોલોની આવાસધારકો દ્વારા કોલોની આવાસધારકો દ્વારા રહેવા માટે મકાન અથવા ભાડુ આપવાની માગણી સાથે ધારાસભ્ય દિવ્યેશ અકબરીના કાર્યાલય ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે. જો આ અંગે કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચિમકી આપી છે.
આવેદનપત્રમાં જણાવ્યું છે કે, જામનગર મુકામે ઉપરોક્ત ગુજરાત હાઉસિંગ બોર્ડમાં છેલ્લા 25 વર્ષથી તેઓ રહેતા હતાં. ત્યારબાદ 2024ની સાલમાં તમામ બ્લોક તથા ફલેટોનું જામનગર મહાનગરપાલિકા તથા હાઉસિંગ બોર્ડ સાથે રહીને ડિમોલેશન કરવામાં આવ્યું છે. તાત્કાલિક ધોરણે મકાન ખાલી કરાવવામાં આવ્યા તથા બેઘર કરવામાં આવ્યા છે.
છેલ્લા એક વર્ષ થયા પાંચસો પરિવાર બેઘર છે. હાલના આ મોંઘવારીના જમાનમાં કોઇપણ પરિવાર મકાન ભાડુ ભરી શકે તેમ નથી. છેલ્લા એક વર્ષ જેવો સમય થઇ ગયો હોય, હવે જીવન જીવવું બધા પરિવાર માટે અસહ્ય થઇ ગયું છે. આથી ફલેટના બદલામાં વૈકલ્પિક જગ્યા આપવા અથવા તમામ ગરીબ પરિવારોને મકાન ભાડુ આપવામાં આવે તેવી માગણી કરાઇ છે. દિવસ 15માં જવાબ નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ-આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારાઇ છે.


