યાત્રાધામ દ્વારકાના દ્વારકાધીશ જગત મંદિરમાં સેવા પૂજા અને યજમાનો સાથે સંકળાયેલા દ્વારકા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ 505 સમસ્ત વ્યવસ્થાપક સમિતિ દ્વારા દર વર્ષે સામાજિક, શૈક્ષણિક, સહકારી, સેવાકીય અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં સનાતન ધર્મની સભ્યતા સંસ્કૃતિની જાળવણી માટે બ્રાહ્મણોના સંસ્કારોના જતન માટે 4 વર્ષથી 15 વર્ષ સુધીના બાળકો તેમજ બાળાઓ માટે સંસ્કૃત વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં લગભગ 80 જેટલા બાળકો/ બાળાઓ ભાગ લઈ રહ્યા છે.
શ્રી સંકટનાશન ગણપતિ સ્તોત્ર, ભવાની અષ્ટક, વેદોના સુક્તમ, પુરુષ સુક્તમ, ગણપતિ અથર્વશીર્ષ, શ્રીમદ ભગવદ ગીતા 15 મો અધ્યાય 12મો અધ્યાય, ભાગવત મહાપુરાણના ગોપીગીતમ, વેણુગીતમ, નારાયણ કવચ,વિષ્ણુ સહસ્ત્ર,દેવી સ્તોત્રો, શિવ સ્તોત્રો, વિષ્ણુ સ્તોત્રો વગેરે આચાર્ય સન્નીભાઈ(સન્નીગુરૂ) પુરોહિત તથા આચાર્ય હિતાર્થભાઈ (શાસ્ત્રી) ભટ્ટ ના માર્ગદર્શન હેઠળ શીખવવામાં આવે છે.
View this post on Instagram
દરરોજ સાંજે 7:00 વાગ્યાથી 8:00 વાગ્યા સુધી બ્રહ્મપુરી 1 પાસે આવેલ ધ્વજાજી પૂજન હોલ ખાતે આ આયોજનની શરૂઆત થઈ છે. મૂળ ઉદ્દેશ બાળકોમાં સંસ્કારોનું સિંચન થાય, બ્રાહ્મણી પરંપરા દ્વારા સનાતન ધર્મનું જતન થાય, બાળકો માતા-પિતા વડીલોનો આદર કરતા થાય, મોબાઈલ ફોનના ફાલતુ ઉપયોગ થી બચી શકે, બાળકોના અભ્યાસની એકાગ્રતામાં વધારો થાય, ચંચળતા દૂર થાય વગેરે સદ હેતુથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. અગાઉ ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા સંધ્યા વંદના વર્ગ તેમજ સમર કેમ્પ/વિન્ટર કેમ્પ જેવા સફળ કાર્યક્રમ બાદ બાળકોને સંસ્કૃત ક્ષેત્રમાં પારંગત કરવા જહેમત ઉઠાવવામાં આવી છે. વાલીઓનો પ્રતિસાદ કાર્યક્રમ પ્રત્યે સકારાત્મક રહ્યો છે દરરોજ અલગ અલગ યજમાનો દ્વારા બાળકોને અલ્પાહારની પણ સેવા આપવામાં આવે છે. જ્ઞાતિ પ્રમુખ યજ્ઞેશભાઇ ઉપાધ્યાય, મંત્રી કપિલભાઈ વાયડા, સહમંત્રી ચેતનભાઇ પુજારી તેમજ વ્યવસ્થાપક સમિતિ દ્વારા કાર્યક્રમની સફળ શરૂઆત બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


