છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની ભયાનકતાથી પીડાઇ રહેલાં અને સતત દહેશતના માહોલ વચ્ચે જીવી રહેલાં 135 કરોડ દેશવાસીઓ માટે એઇમ્સના ડિરેકટર ડૉ. ગુલેરિયાએ રાહત આપતાં સમાચાર આપ્યા છે. એમ્સના ડાયરેકટર ડોકટર રણદીપ ગુલેરિયાના જણાવ્યાં મુજબ કોરોના વાયરસ હવે મહામારી રહ્યો નથી. જો કે તેમણે સાવધ કર્યા કે જયાં સુધી ભારતમાં દરેક વ્યકિતને રસી ન મળી જાય ત્યાં સુધી સાવધ રહેવાની જરૂર છે. ખાસ કરીને તહેવારો પર બધાએ ભીડથી બચવાની જરૂર છે. ડોકટર ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં નોંધાઈ રહેલા આંકડા હવે 2પ હજારથી 40 હજારની વચ્ચે આવી રહ્યા છે. જો લોકો સાવધ રહે તો આ કેસ ધીમે-ધીમે ઓછા થતા જશે. જો કે કોરોના સંપૂર્ણ રીતે ખતમ થશે નહીં. પરંતુ ભારતમાં જેટલી ઝડપથી વેકિસનેશન થઈ રહ્યું છે તેને જોતા હવે કોરોનાનું મહામારી સ્વરૂપ લેવું કે મોટા પાયે ફેલાવવું મુશ્કેલ છે.
એમ્સ ડાયરેકટર ગુલેરિયાનું કહેવું છે કે કોરોના વાયરસ જલદી સામાન્ય ફ્લૂ એટલે કે સાધારણ ઉધરસ, શરદી જેવો થઈ જશે કારણ કે લોકોમાં હવે આ વાયરસ વિરુદ્ધ ઈમ્યુનિટી તૈયાર થઈ ગઈ છે. પરંતુ બીમાર અને નબળી ઈમ્યુનિટીવાળા લોકો માટે આ વાયરસ હજુ જીવનું જોખમ બની રહેશે. રસી લેનારા લોકોના મનમાં હજુ પણ એ સવાલ છે કે રસી શું જીવનભર સુરક્ષા આપશે કે પછી થોડી સમય પછી ફરીથી બુસ્ટર ડોઝ લેવાની જરૂર પડશે. આ સવાલના જવાબમાં ડોકટર ગુલેરિયાએ કહ્યું કે ભારતમાં પ્રાથમિકતા એ છે કે બધા લોકોને રસીને બે ડોઝ આપવામાં આવે. બાળકોને પણ રસી લગાવવામાં આવે. ત્યારબાદ જ બુસ્ટર ડોઝ પર ભાર મૂકાવવો જોઈએ. તેમણે કહ્યું કે દુનિયાના તમામ દેશોમાં બધા રસી મૂકાવી લે, તેને ધ્યાનમાં રાખતા ભારત સરકારે વેકસીન મૈત્રી કાર્યક્રમને ઓકટોબરમાં ફરીથી શરૂ કરવાની વાત કરી છે. એપ્રિલ મહિનામાં ભારત સરકારે ભારતીયોને પ્રાથમિકતા આપતા થોડા સમય માટે બીજા દેશોને રસી ડોનેટ કરવાનું કામ અટકાવ્યું હતું પરંતુ એમ્સ ડાયરેકટરના જણાવ્યાં મુજબ દુનિયાના કોઈ પણ દેશમાં લોકો રસી ન લઈ શકતા હોય તો તેનાથી દરેક દેશને જોખમ રહેલું છે. ડોકટર ગુલેરિયાનું કહેવું છે કે વાયરસ ગમે ત્યાંથી ફરીથી ફેલાઈ શકે છે. આ દિશામાં દુનિયાને રસી વહેંચીને ભારત પોતાની જવાબદારી નિભાવી રહ્યું છે. જો કે થોડા સમય બાદ બીમાર, વૃદ્ધો કે નબળી ઈમ્યુનિટીવાળા લોકોને બુસ્ટર ડોઝ આપી શકાય છે. એ પણ જરૂરી નથી કે બુસ્ટર ડોઝ તે જ રસીને મળો જે રસી પહેલા લીધી હોય. કોઈ નવી રસીનો પણ બુસ્ટર ડોઝ લઈ શકાય છે. જો કે આ અંગે પહેલા એક પોલીસી બનાવવામાં આવશે. તેમનું કહેવું છે કે કેટલાક લોકોને બુસ્ટર ડોઝની જરૂર પડી શકે છે. આ બુસ્ટર ડોઝ બીજી રસીનો પણ લાગી શકે છે. પરંતુ તેના પર નિર્ણય લેવામાં આવશે, પહેલા બધાને રસી આપવી જરૂરી છે. પછી બુસ્ટર ડોઝનો વારો આવશે. ડોકટર ગુલેરિયાએ કહ્યું કે ડિસેમ્બર સુધીમાં બધાને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.


