જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર રામપર ગામના પાટિયા નજીક પૂરપાટ આવી રહેલા અજાણ્યા વાહનચાલકએ પ્રૌઢને હડફેટ લઇ ઠોકરે ચઢાવતાં સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી.
અકસ્માતના બનાવની મળતી વિગત મુજબ જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા રામપર ગામના પાટિયા પાસે ગત્ તા. 08ના રોજ રાત્રિના સમયે પેટ્રોલપંપની સામેના માર્ગ પર પગપાળા જતાં પ્રૌઢને પાછળથી પૂરપાટ અને બેફિકરાઇથી આવી રહેલા અજાણ્યા વાહને હડફેટ લઇ ઠોકરે ચઢાવતાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેઓનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે રાહુલભાઇ જાટિયા દ્વારા જાણ કરાતા પીઆઇ એમ. એન. શેખ તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી અજાણ્યા વાહનચાલકની શોધખોળ તેમજ મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા પ્રૌઢ એકલવાયું જીવન જીવતાં હોવાનું જણાતા તેમના વાલી-વારસની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેમજ અકસ્માત બાદ વાહનચાલક અંધારામાં પલાયન થઇ ગયો હતો.


