જામજોધપુર તાલુકાના ઈશ્વરિયા ગામના વાડી વિસ્તારમાં મગફળી કાઢતાં સમયે થ્રેસર મશીનમાં આવી જતા ખેડૂત યુવાનનું ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી છે. જામજોધપુર તાલુકાના ગઢકડા ગામમાં બકરી માટે ઘાસચારો લેવા જતાં મહિલાનું ઝેરી જનાવર કરડી જતાં મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ઈશ્વરિયા ગામમાં રહેતા અને ખેતી કરતાં મૂકેશભાઇ ભીખાભાઇ બૈડિયાવદરા (ઉ.વ.36) નામનો યુવાન ઈશ્વરિયા ગામની સીમમાં આવેલા હેમતભાઇ હીરાભાઇ બગડાના ખેતરમાં મગફળી કાઢવા માટે થ્રેસરના મશીનથી કામ કરતો હતો. તે દરમ્યાન મુકેશભાઇ અકસ્માતે થ્રેસરના મશીનમાં આવી જતાં શરીરે અને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યૂ હતું. આ અંગે મૃતકના પિતા ભીખાભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. આર. આર. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી કરી હતી.
બીજો બનાવ જામજોધપુર તાલુકાના ગઢકડા ગામમાં રહેતાં રહેમતબેન ઇરફાનભાઇ ઉન્નડ (ઉ.વ.43) નામના મહિલા ગુરૂવારે સવારના સમયે તેના ઘરેથી બકરી માટે ઘાસચારો લેવા જતા હોય, કોઇ ઝેરી જનાવર પગમાં કરડી જતાં ગંભીર હાલતમાં મહિલાને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પતિ ઇરફાનભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. બી. પી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.


