જામનગર તાલુકાના સીકકાથી લાલપુર તરફ જવાના માર્ગ પરથી પસાર થતા બાઈક આડે લાલપુર નજીક ચાંદીગઢ રોડ પર એકાએક આખલો આવીને બાઈક સાથે અથડાતા બાઈકસવાર વૃધ્ધ અને એક યુવાનને ગંભીર ઈજા પહોંચતા બન્નેના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં રખડતા અબોલ પશુઓનો ત્રાસ અસહ્ય અને ભોગ લેનારો બનતો જાય છે તેમજ જામનગર શહેર અને જિલ્લામાં પણ અવાર-નવાર રોડ પર રખડતા પશુઓ અને આખલાઓ વાહન સાથે અથડાતા અકસ્માતમાં વાહનચાલકનો ભોગ લેવાય છે તથા શહેરમાં પણ અનેક સ્થળોએ રખડતા પશુઓ દ્વારા શહેરીજનો ઉપર હુમલો કરાયાની ઘટનાઓ અનેકગણી વધી ગઇ છે તેમ છતાં તંત્ર દ્વારા રસ્તા પર રખડતા અબોલ પશુઓ અટકાવવા માટે કાયમી નિરાકરણ કરવામાં આવતું નથી. દરમિયાન જામનગર તાલુકાના સિક્કા ગામમાં જીઈબી કોલોનીમાં રહેતાં ભરતસિંહ ભૂપતસિંહ જાડેજા (ઉ.વ.65) નામના વૃદ્ધ ગુરૂવારે મધ્યરાત્રિના સમયે બાઈક પર લાલપુર તરફ અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના દુકાલકુવા ગામનો વતની અને હાલ લાલપુર તાલુકાના ચાંદીગઢના વાડી વિસ્તારમાં રહી ખેતમજૂરી કરતા મુકેશભાઈ તેરસિંગ દાવર (ઉ.વ.30) નામના યુવાન સાથે જતા હતાં.
તે દરમિયાન લાલપુર નજીક ચાંદીગઢ રોડ પર હોટલ પાસે પહોંચ્યા ત્યારે અચાનક જ રોડ પર આવેલો આખલો બાઈક સાથે ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માતમાં વૃદ્ધ અને શ્રમિક બન્ને રોડ પર પટકાયા હતાં. જેમાં બન્નેને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી ત્યારબાદ બન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બન્નેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પુત્ર યોગીરાજસિંહ ભરતસિંહ જાડેજા દ્વારા જાણ કરાતા એએસઆઈ એ.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


