ગુજરાતભરમાં રવિવારે પણ કમોસમી વરસાદનો માર યથાવત રહ્યો હતો. રવિવારે રાજ્યના 33માંથી 27 જિલ્લાના 111 તાલુકામાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. ઊના, ગીરગઢડામાં ગાજવીજ સાથે 1થી 4 ઇંચ વરસાદ તૂટી પડતા ઠેર-ઠેર પાણી ભરાયા હતા. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં કેરીના પાકને ભારે નુકસાન થયું હતું. દ્વારકા જિલ્લાના ભાણવડ અને કલ્યાણપુર પંથકમાં પણ કરા સાથે વરસાદ વરસ્યો હતો. જેને કારણે ખેડૂતોના પાકને નુકસાન પહોંચ્યું છે. રવિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે બેઠક યોજીને રાહત અને બચાવ કામગીરીની તથા પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરી હતી.
સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર (એસઇઓસી)ના જણાવ્યા પ્રમાણે કચ્છ, પાટણ, અમદાવાદ, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, સુરત તથા અન્ય જિલ્લાઓમાં શનિવારે મોડી રાત સુધીમાં 15 મીમીથી વધુ વરસાદ પડ્યો હતો. જ્યારે રવિવારે સાંજ સુધીમાં 27 જિલ્લાના 111 તાલુકામાં 1થી 47 મીમી તથા 18 જિલ્લાના 33 તાલુકામાં 10 મીમીથી વધુ વરસાદ પડ્યો હતો.મુખ્યમંત્રીએ બેઠકમાં પાકને થયેલા નુકસાનની વિગતોની સમીક્ષા કરી હતી. ખાસ કરીને જુનાગઢ તથા અમરેલી જિલ્લામાં કેરી સહિતના પાકને માતબર નુકસાન થયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ જિલ્લા કલેક્ટરોને પાકને થયેલા નુકસાનની પ્રાથમિક સમીક્ષા કરવાનો આદેશ આપ્યો હતો.


